10 June, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર, શશાંક સિંહ
મુંબઈ ઇન્ડિયન્સ સામે IPL 2025ની ક્વૉલિફાયર-ટૂ મૅચ જીત્યા બાદ પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરે મેદાન પર જાહેરમાં સાથી પ્લેયર શશાંક સિંહને અપશબ્દો કહ્યા હતા, કારણ કે મૅચ દરમ્યાન તેની ધીમી દોડને કારણે તે રનઆઉટ થઈ ગયો હતો. તેની આ બેદરકારીથી નારાજ ઐયરે તેની સાથે હાથ પણ મિલાવ્યો નહોતો.
આ ઘટનામાં પોતાની ભૂલ સ્વીકારતાં શશાંકે કહ્યું હતું કે ‘હું એનો જ હકદાર હતો, ઐયરે મને લાફો મારવો જોઈતો હતો. મારા પપ્પાએ ફાઇનલ મૅચ સુધી મારી સાથે વાત કરી નહોતી. હું બેદરકાર હતો, હું બગીચામાં નહીં બીચ પર ફરતો હતો. એ એક નિર્ણાયક સમય હતો, શ્રેયસે સ્પષ્ટ કર્યું કે મને તારી પાસેથી આની અપેક્ષા નહોતી, પરંતુ પછી તે મને ડિનર પર લઈ ગયો હતો.’
ફાઇનલ બાદ હોટેલ, ઍરપોર્ટ અને ઘર સુધી લોકોએ પંજાબના શશાંક સિંહને કહી આ વાત
બૅન્ગલોર સામે ફાઇનલમાં પંજાબના શશાંક સિંહે ૩૦ બૉલમાં ૬૧ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી, પણ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડની અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી ૨૯ રન સામે તે માત્ર બાવીસ રન ફટકારી શક્યો હતો. આ ઓવરના પહેલા બૉલ પર તે ફુલ ટૉસ બૉલ રમી શક્યો નહોતો. ફાઇનલ બાદ ટીમ હોટેલથી ઍૅરપોર્ટ અને ત્યાંથી ઘર સુધી લોકોએ તેને એક જ વાત કહી હતી કે ભાઈ, એ એક બૉલ પર શૉટ મારી દેવો હતો. પંજાબની ટીમ ૬ રને ચૅમ્પિયન બનતાં રહી ગઈ હતી.