13 May, 2022 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નઈનો ગઈ કાલે વાનખેડેમાં શોર્ટ-સર્કિટની ઘટના વચ્ચે મુંબઈ સામે પાંચ વિકેટથી પરાજય થયો હતો અને એ સાથે આ ટીમ મુંબઈની જેમ આઇપીએલ-૨૦૨૨માંથી સત્તાવાર રીતે આઉટ થઈ ગઈ છે. મુંબઈએ ૯૮ રનનો ટાર્ગેટ ૧૪.૫ ઓવરમાં પાંચ વિકેટના ભોગે બનેલા ૧૦૩ રનના સ્કોર સાથે મેળવી લીધો હતો. સિંગાપોરના ટિમ ડેવિડે મોઇન અલીની ઓવરમાં બે છગ્ગા ફટકારીને જીત આસાન કરી નાખી હતી. ડેવિડ ૧૬ અને તિલક વર્મા ૩૪ રને અણનમ રહ્યા હતા. ચેન્નઈ વતી મુકેશ ચૌધરીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
ચેન્નઈની ટીમ બૅટિંગ મળ્યા પછી માત્ર ૯૭ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. જોકે ૨૦૧૩માં મુંબઈ સામેનો જ વાનખેડે ખાતેનો ૭૯ રનનો પોતાનો લોએસ્ટ સ્કોર ન તૂટ્યો એ બદલ ધોનીની ટીમ જરૂર નિરાંત મહેસૂસ કરતી હશે. આઇપીએલના ૧૫ વર્ષના ઇતિહાસમાં બૅન્ગલોરનો ૪૯ રન તમામ ટીમોમાં લોએસ્ટ સ્કોર છે. ગઈ કાલે ચેન્નઈ વતી ધોનીના અણનમ ૩૬ રન ટીમમાં હાઇએસ્ટ હતા. મુંબઈના ડૅનિયલ સેમ્સે શરૂઆતથી તરખાટ મચાવીને કુલ ત્રણ વિકેટ તેમ જ રાઇલી મેરેડિથ અને કાર્તિકેયે બે-બે વિકેટ લીધી હતી. કીરોન પોલાર્ડને આ મૅચમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. તેના ઉપરાંત મુરુગન અશ્વિનના સ્થાને સ્ટબ્સ તથા રિતિક શોકીનને લેવામાં આવ્યા હતા.