12 May, 2022 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની
વાનખેડેમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર છે. સૌથી વધુ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈની ટીમ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે એટલે આજે બની શકે એટલું ગૌરવ પાછું મેળવવા કોઈ કસર બાકી નહીં રાખે. ૧૦ ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં મુંબઈ ૧૧માંથી ૯ મૅચ હારી જવાને કારણે છેક ૧૦મા નંબર પર છે.
ચેન્નઈની ટીમ ૧૧માંથી ફક્ત ૪ મૅચ જીતવાને કારણે પ્લે-ઑફની દોડની લગભગ બહાર થઈ ગઈ છે. પ્લે-ઑફમાં પહોંચવા બાકીની ત્રણેય લીગ મૅચ જીતીને સ્પર્ધામાં ટકી રહેવા સંઘર્ષ કરી રહેલી ધોનીની ટીમ આ નવું મિશન આજે મુંબઈ સામે જીતીને શરૂ કરે તો નવાઈ નહીં. ગયા વર્ષની વિજેતા અને આ વખતની નવમા નંબરની આ ટીમ ચેન્નઈ આજે હારી જશે તો સત્તાવાર રીતે પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ જશે.