12 April, 2021 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિખર ધવને શનિવારે ચેન્નઈ સામે મૅચ-વિનિંગ ૮૫ રન બનાવ્યા હતા. તેણે એ પહેલાં ત્રણ કૅચ પણ પકડ્યા હતા (તસવીર: પી.ટી.આઇ)
ભારતના વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે આઇપીએલમાં શનિવારે કપ્તાન તરીકેની પ્રથમ મૅચમાં જ જીત મેળવી હતી. આમાં રિષભ પંતની કપ્તાનીથી ટીમનો અનુભવી ઓપનર અને ‘ગબ્બર’ તરીકે જાણીતો શિખર ધવન ઘણો પ્રભાવિત થયો હતો.
મૅચ બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં શિખર ધવને કહ્યું કે, ‘પંતે ઘણું સારું પ્રદર્શન કર્યું. સૌથી પહેલી સારી વાત એ હતી કે તે ટૉસ જીત્યો હતો. આ વિકેટ પર બીજી ઇનિંગ્સમા બૅટિંગ કરવી ઘણી સારી છે. પંતે ધૈર્ય રાખ્યું અને ખેલાડીઓને પ્રેરિત કર્યા. તેણે કેટલાક સારા ફેરફાર પણ કર્યા હતા. કપ્તાન તરીકે આ તેની પહેલી મૅચ હતી અને મને ભરોસો છે કે તે અહીંથી સારું પ્રદર્શન કરીને આગળ વધશે. રિષભની સૌથી સારી વાત એ છે કે તે પોતાનું ધૈર્ય જાળવી રાખે છે. તે ઘણો ચતુર પણ છે. જો તે ઇચ્છે તો હું તેને સલાહ જરૂર આપીશ.’