04 May, 2021 12:18 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ચેન્નઈ સુપર કિંગ્સના બોલર કોચ લક્ષ્મીપતિ બાલાજી (તસવીર સૌજન્યઃ એએફપી)
ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન પર કોરોનાનું સંકટ ધીમે ધીમે વધતું જોવા મળે છે. સોમવારે રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે થનારી મેચ સ્થગિત કરવી પડી. હવે માહિતી મળી રહી છે કે બુધવારે 5 મેના ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે થનારી મેચને પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
પીટીઆઇ પ્રમાણે બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં થનારી મેચને હાલ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચેન્નઇની ટીમને અહીં રાજસ્થાન સાથે સાંજે સાડાસાત વાગ્યાની મેચમાં રમવાની હતી. ચર્ચાઓ પ્રમાણે ચેન્નઇની ટીમ તરફથી આ મેચ સ્થગિત કરવાની વાત કહેવામાં આવી હતી. ટીમ અહીં મેચ રમવાને લઈને શ્યોર નહોતી.
નોંધનીય છે કે દિલ્હી કૅપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે દિલ્હીમાં 2મેના ટૂર્નામેન્ટની 19મી મેચ રમાડવામાં આવી હતી. આ પહેલા કોલકાતાની ટીમ વિરુદ્ધ મેચ રમવાને કારણે દિલ્હીની ટીમને ક્વૉરન્ટીન થવાની સલાહ આપવામાં આવી હતી. હવે દિલ્હીમાં ચેન્નઇની ટીમને આવનારી મેચ રમવાની છે જેની માટે ટીમ તૈયાર નથી.
સોમવારે કોલકાતા ટીમના સ્પિનર વરુણ ચક્રવર્તી અને ઑલરાઉન્ડર સંદીપ વૉરિયરનો કોરોના રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો હતો. તેના પછી સોમવારે સાંજની મેચ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોલકાતાના સંપર્કમાં આવનારી બધી ટીમને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.