12 May, 2021 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચહલ
ક્રિકેટ બોર્ડે પ્લેયરોને આપી કડક ચેતવણી ને જરૂરી બધી સાવચેતી રાખવાની તથા આઇસોલેશનમાં રહેવા માટેની વિનંતી કરી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ અને ઇંગ્લૅન્ડ ટૂર માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે અને એ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જોકે આજના માહોલને જોતાં ક્રિકેટ બોર્ડે કડક શબ્દોમાં બધા ખેલાડીઓને જણાવી દીધું છે કે જો ઇંગ્લૅન્ડ રવાના થતાં પહેલાં કોઈ કોરોનાગ્રસ્ત થયું તો તેને સિરીઝમાંથી આઉટ કરવામાં આવશે.
ટીમના ફિઝિયો યોગેશ પરમારે ખેલાડીઓને કડક શબ્દોમાં આ બાબતે સલાહ આપતાં કહ્યુ કે ‘ઇંગ્લૅન્ડ સિરીઝ માટે મુંબઈમાં ભેગા થઈને ક્વૉરન્ટીન થતાં પહેલાં બધા ખેલાડીઓ ખૂબ સાવચેતી રાખે અને બને એટલા પોતાની જાતને આઇસોલેટ રાખે. આઇપીએલમાં કોરોનાને લીધે થયેલી ફજેતીથી ક્રિકેટ બોર્ડ હવે આ બાબતે વધુ કડક થયું છે.
ભારતીય ટીમ ૨૫ મેએ મુંબઈમાં બાયો-બબલ્સમાં એન્ટ્રી કરશે અને બીજી જૂને ઇંગ્લૅન્ડ માટે રવાના થશે. ત્યાં પહોંચીને તેઓ ૧૦ દિવસ ક્વૉરન્ટીન રહેશે.
મુંબઈમાં બાયો-બબલ્સમાં એન્ટ્રી વખતે દરેક ખેલાડી, સપોર્ટ-સ્ટાફ અને તેમના ફૅમિલી મ-મ્બર્સની કોરોના-ટેસ્ટ કરવામાં આવશે. ત્યાર બાદ ક્રિકેટ બોર્ડ ખેલાડીઓ માટે એક ખાસ બાયો-બબલ્સ તૈયાર કરવા માગે છે. એટલા માટે કે ટૂર પર જઈ રહેલા ૨૦ ખેલાડીઓ દેશનાં અલગ-અલગ રાજ્યના છે અને દરેક રાજ્યમાં હાલમાં કોરોનાની જુદી-જુદી સ્થિતિ છે.
નો ચાર્ટર્ડ પ્લેન
ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ખેલાડીઓને સાવધાની રાખવાની બધી સૂચના આપી દેવામાં આવી છે. દરેક ખેલાડીઓને એમ પર સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે જો કોઈ ખેલાડીનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો તો પછીથી ઇંગ્લૅન્ડ મોકલવા માટે બોર્ડ કોઈ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા નહીં કરે.
બે નેગેટિવ રિપોર્ટ જરૂરી
અધિકારીએ કહ્યું કે ખેલાડી અને તેના પરિવારની ટેસ્ટ કરવામાં આવશે. મુંબઈથી રવાના થતાં પહેલાં ખેલાડીઓની બે નેગેટિવ ટેસ્ટ હોવી જરૂરી છે. આના પરથી એ કન્ફર્મ થઈ જશે કે એ બાયો-બબલમાં કોઈ ઇન્ફેક્શન નથી લઈ જઈ રહ્યો. બોર્ડે ખેલાડીઓને પ્રાઇવેટ કારમાં અને વિમાનમાં જ મુસાફરી કરવાનો આદેશ આપ્યો છે.
આ ઉપરાંત ક્રિકેટ બોર્ડે બધા ખેલાડીઓને કોરોના-વૅક્સિન કોવિશીલ્ડનો જ પહેલો ડોઝ લેવા જણાવ્યું છે, કેમ કે ત્રણ મહિના લાંબી આ ટૂર દરમ્યાન એ જ વૅક્સિનનો બીજો ડોઝ ઇંગ્લૅન્ડમાં આસાનીથી મળી શકશે.