પુણેનો પૃથ્વી જાની ૧૪ કલાકની બસની મુસાફરી કરીને એકલો આવ્યો અમદાવાદ

09 March, 2026 01:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપમાં ભારતની મૅચ જોવા એકથી બીજા શહેરમાં એકલો ફર્યો

અમદાવાદના સ્ટેડિયમમાં પૃથ્વી જાની

ભારતીય ક્રિકેટ-ટીમના લાખ્ખો દીવાના છે અને એમાં પુણેના પૃથ્વી જાનીનો પણ સમાવેશ છે. આ મોજીલો ક્રિકેટરસિયો ૧૪ કલાકની બસની મુસાફરી કરીને T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જોવા અને ટીમ ઇન્ડિયાને ચિયરઅપ કરવા ગઈ કાલે પુણેથી અમદાવાદ પહોંચ્યો હતો. અચરજભરી વાત એ છે કે સ્ટેડિયમમાં મૅચ જોવા લોકો ફૅમિલી કે ફ્રેન્ડ્સ સાથે જતા હોય છે, પરંતુ પૃથ્વી જાની દરેક જગ્યાએ એકલો જ મૅચ જોવા જાય છે.    

પૃથ્વી જાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું પુણેથી બસમાં આવ્યો હતો. શનિવારે રાતે બસમાં બેઠો હતો અને લગભગ ૧૪ કલાકની મુસાફરી બાદ અમદાવાદ પહોંચ્યો હતો. આ વર્લ્ડ કપમાં ભારતની ૬ મૅચ જોવા હું એકલો ફર્યો છું. મુંબઈ, કલકત્તા અને અમદાવાદમાં મૅચ જોવા માટે ગયો છું જેમાં એકમાત્ર કલકત્તામાં મૅચ જોવા ફ્લાઇટમાં ગયો હતો, બાકી બધે બસમાં મુસાફરી કરી છે. મને ક્રિકેટનો શોખ છે એટલે નાનપણથી જ હું મૅચ જોતો આવ્યો છું. ૨૦૧૯માં મૅચ જોવા ઇંગ્લૅન્ડ ગયો હતો, ૨૦૨૫માં ચૅમ્પિયન્સ ટ્રોફી જોવા દુબઈ ગયો હતો. હું મૅચ જોવા એકલો જ જાઉં છું. મને એમાં કોઈ મુશ્કેલી નથી આવતી. સ્ટેડિયમમાં ઘણા બધા લોકો મૅચ જોવા આવતા હોય છે એટલે બધા મિત્રો થઈ જાય છે. મૅચ જોવા માટે પુણેથી કલકત્તા, મુંબઈ કે અમદાવાદ સુધી મુસાફરી કરી, પરંતુ મને ક્યાંય થાક કે કંટાળો આવતો નથી, કેમ કે મૅચનું ઝનૂન જ એવું હોય છે કે થાક લાગતો નથી કે કંટાળો આવતો નથી. બીજી વાત એ પણ છે કે ભારતીય ટીમે આ વર્લ્ડ કપમાં જબરદસ્ત પર્ફોર્મન્સ દેખાડ્યો છે એટલે બધો થાક ઊતરી જાય છે.’  

t20 world cup world cup international cricket council india indian cricket team team india new zealand narendra modi stadium ahmedabad pune cricket news sports sports news