21 November, 2021 05:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન સાથે મહેન્દ્ર સિંહ ધોની. પી.ટી.આઇ.
ચેન્નઈ સુપર કિંગ ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે હું મારી છેલ્લી ટી૨૦ મૅચ ચેન્નઈમાં રમવા માગું છું, પણ ખબર નથી કે એ મૅચ આવતા વર્ષે હશે કે પાંચ વર્ષે. ગયા વર્ષે ધોનીએ યુએઈમાં રમાયેલી આઇપીએલમાં પોતાની ટીમને ચોથી વખત આઇપીએલ ચૅમ્પિયન બનાવી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે હજી એકાદ સીઝન મારા પ્રશંસકો મને રમતો જોઈ શકશે. વળી મારી છેલ્લી મૅચ ચેપોકમાં રમવા માગું છુ. ગઈ કાલે ચેન્નઈમાં સીએસકેના વિજયની ઉજવણીના કાર્યક્રમમાં તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન, ઇન્ડિયા સિમેન્ટના વાઇસ ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર એન. શ્રીનિવાસન, કપિલ દેવ અને ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહની હાજરીમાં ધોનીએ કહ્યું હતું કે ‘ચેન્નઈની ટીમના પ્રશંસકો તામિલનાડુમાં જ નહીં, દેશની બહાર જોહનિસબર્ગ અને દુબઈમાં પણ છે. ખરાબ સમયમાં પણ સોશ્યલ મીડિયામાં અમારી જ વાતો થતી હતી. આગામી હરાજીમાં ચેન્નઈની ટીમ ધોની, જાડેજા અને ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓને જાળવી રાખશે એવું માનવામાં આવે છે.’