30 December, 2022 06:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન મોદી, સચિન તેંડુલકર, રિકી પૉન્ટિંગ અને વિરાટ કોહલી
ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંત(Rishabh Pant)ની કારને શુક્રવારે સવારે લગભગ 5.30 વાગ્યે દિલ્હી-દેહરાદૂન હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે પંત મોડી રાત્રે દિલ્હીથી રૂરકી સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, ક્રિકેટરની કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. પંતના અકસ્માત પર ક્રિકેટ જગતમાંથી ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી છે. વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પંતના સાજા થવા માટે પ્રાર્થના કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પંતના અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ પંતના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે
પંતના અકસ્માત બાદ ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટ ખેલાડીઓએ પ્રતિક્રિયા આપી હતી. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પંતના અકસ્માત બાદ કહ્યું હતું કે, "ઋષભ પંત, હું તમને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. મારી પ્રાર્થના તમારી સાથે છે.”
ટીમ ઈન્ડિયાના મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ પંતના અકસ્માત બાદ કહ્યું, "ઋષભ પંત જલ્દી સ્વસ્થ થઈ જાઓ. હું તમારી રિકવરી માટે પ્રાર્થના કરું છું."
આ સિવાય વીરેન્દ્ર સેહવાગે પણ પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. સેહવાગે ટ્વિટર પર લખ્યું, “ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના. જલ્દી સ્વસ્થ થાઓ."
આ સિવાય અન્ય ઘણા ક્રિકેટરોએ પંતના સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.
એજન્સીના રિપોર્ટ અનુસાર, ઋષભ પંતની મર્સિડીઝ કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. 25 વર્ષીય ઋષભ પંતની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ક્રિકેટર, જે રૂરકીમાં ઘરે જઈ રહ્યો હતો, અકસ્માત બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે, પરંતુ તેની હાલત સ્થિર છે. સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે દિલ્હી નરસન બોર્ડર પર જ્યારે કાર ડિવાઈડર સાથે અથડાઈ ત્યારે પંત પોતે જ કાર ચલાવી રહ્યો હતો. તેને તાત્કાલિક દિલ્હી રોડની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ વધુ સારવાર માટે તેને મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.