02 March, 2025 10:00 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
કે. એલ. રાહુલ, રિષભ પંત
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલાં હેડ કોચ ગૌતમ ગંભીરે સંકેત આપી દીધો હતો કે કે. એલ. રાહુલ વિકેટકીપર તરીકે પહેલી પસંદગી હશે. ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ અને ચૅમ્પિયન્સ ટ્રોફીની એક પણ મૅચમાં રિષભ પંતને રમાડવામાં આવ્યો નથી. ટીમમાં જગ્યા મેળવવા માટે પંત સાથે વારંવાર થતી સરખામણી વિશેના સવાલનો જવાબ આપતાં કે. એલ. રાહુલ કહે છે કે ‘પંત સાથે સ્પર્ધા છે, હું ખોટું નહીં બોલું. તે ચોક્કસપણે ખૂબ પ્રતિભાશાળી પ્લેયર છે અને તેણે આપણને બધાને બતાવી દીધું છે કે તે શું કરી શકે છે અને કેટલો આક્રમક છે અને કેટલી ઝડપથી રમત બદલી શકે છે. મારા માટે, જો મને તક આપવામાં આવે તો હું પ્રયાસ કરું છું કે હું શું શ્રેષ્ઠ કરી શકું છું. હું રિષભ સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ નથી કરી રહ્યો અથવા હું તેની જેમ રમવાનો પ્રયાસ નથી કરી રહ્યો. જ્યારે તેને તક મળે છે ત્યારે મને ખાતરી છે કે તે બીજા કોઈની જેમ રમવાનો પ્રયાસ નહીં કરે. તે કેવી રીતે રમી શકે છે અને તે ટીમને શું પ્રદાન કરી શકે છે એના આધારે તેની પસંદગી કરવામાં આવે છે. મારા માટે પણ આ જ વાત લાગુ પડે છે. એથી હું શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરું છું અને મારી રમતને વળગી રહેવાનો પ્રયાસ કરું છું.’