08 May, 2021 03:38 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
આઇસીસી ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ અને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ગઈ કાલે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. સિલેક્ટરોએ ચાર સ્ટૅન્ડ-બાય સહિત કુલ ૨૪ ખેલાડીઓનાં નામની જાહેરાત કરી છે જેમાં બે લોકેશ રાહુલ અને વૃદ્ધિમાન સહા જો સમયસર ફિટ થશે તો તેમને ટીમમાં સામેલ કરવામાં આવશે. સિલેક્ટરોએ કુલદીપ યાદવ તથા ફરી ફિટ થઈ ગયેલા હાર્દિક પંડ્યા અને ફરી ફૉર્મમાં આવી ગયેલા પૃથ્વી શૉની સિલેક્ટરોએ અવગણના કરી છે.
ભારતીય ટીમ કદાચ બીજી જૂને રવાના થશે અને કોરોનાના માહોલને લીધે આ વખતે કુલ ૨૪ ખેલાડીઓ સાથે જશે.
૧૮થી ૨૨ જૂન દરમ્યાન ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમાશે. ત્યાર બાદ ૪ ઑગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન ઇંગ્લૅન્ડ સામે પાંચ ટેસ્ટની સિરીઝ રમાશે.
આઇપીએલ અટકી પડતાં હવે ભારતીય ટીમ અને ચાહકોનું સંપૂર્ણ ધ્યાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પર કેન્દ્રિત કરી દીધું છે.
સિલેક્ટરોએ પસંદ કરેલા આ ૨૦ ખેલાડીઓમાં મોટા ભાગના ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં સામેલ ખેલાડીઓ જ છે. આ સિરીઝ દરમ્યાન ઇન્જર્ડ થયેલા ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રવિચન્દ્રન અશ્વિન, રવિીન્દ્ર જાડેજા અને હનુમા વિહારીને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે ઇન્જરી બાદ કમબૅક કર્યા બાદ બોલિંગ ન કરી રહેલા હાર્દિક પંડ્યા તથા ઑસ્ટ્રેલિયા સિરીઝમાં નામોશીભર્યા પર્ફોર્મન્સ બાદ ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલમાં ધમાકેદાર પર્ફોર્મન્સ કરનાર પૃથ્વી શૉને કમબૅક માટે સિલેક્ટરોએ હજી વધુ રાહ જોવાનું કહી દીધું છે. જ્યારે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામે શાનદાર પર્ફોર્મન્સ બદલ શાર્દુલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદર તથા અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યું છે. એન. નટરાજન ઘૂંટણની સર્જરી બાદ આરામ કરી રહ્યો હોવાથી તેને સિલેક્ટ નથી કર્યો. સિલેક્ટરોએ ચાર ખેલાડીઓ અભિમન્યુ ઈશ્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ણા, આવેશ ખાન અને અર્ઝન નાગવાસવાલાને સ્ટૅન્ડબાય જાહેર કર્યા છે.
એકમાત્ર ઍક્ટિવ પારસી ડોમેસ્ટિક ક્રિકેટર અર્ઝન નાગવાસવાલા
ગુજરાતનો યુવા પેસ બોલર અર્ઝન નાગવાસવાલા ગઈ કાલે ચર્ચાનો વિષય બન્યો હતો. ઇંગ્લૅન્ડ ટૂર માટેની ભારતીય ટીમ માટે જાહેર થયેલા ચાર સ્ટૅન્ડ-બાય ખેલાડીઓમાં લેફ્ટ-આર્મ પેસ બોલર અર્ઝનનો પણ સમાવેશ હતો. અર્ઝન ભારતમાં હાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં ઍક્ટિવ હોય એવો એકમાત્ર પારસી ક્રિકેટર છે. સુરતમાં જન્મેલો ૨૩ વર્ષનો અર્ઝન તેની પેસને લીધે બધાથી અલગ તરી આવે છે.
અર્ઝનના સિલેક્શનથી ખુશ કોચ હિતેશ મજુમદારે કહ્યું કે ‘તે વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશનનો ખેલાડી છે અને તે ૧૪૦ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકી શકે છે. અન્ડર-19, અન્ડર-23માં કમાલ કર્યા બાદ ત્રણ વર્ષ પહેલાં તેણે ગુજરાત રણજી ટીમમાં એન્ટ્રી મારી હતી. પહેલી સીઝનમાં ૨૩ અને બીજી સીઝનમાં તેણે ૪૦ વિકેટ લીધી છે.નાગવાસવાલા નાર્ગોલ ગામનો છે, પણ હવે તે વલસાડ રહે છે.’
ભારતનો ઇંગ્લૅન્ડનો કાર્યક્રમ
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ, ન્યુ ઝીલૅન્ડ સામે૧૮થી ૨૨ જૂન, સાઉધમ્પ્ટન
ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ સિરીઝ
પ્રથમ : ૪થી ૮ ઑગસ્ટ, નૉટિંગહૅમ
બીજી : ૧૨થી ૧૬ ઑગસ્ટ, લંડન
ત્રીજી : ૨૫થી ૨૯ ઑગસ્ટ, લીડ્સ
ચોથી : ૨થી ૬ સપ્ટેમ્બર, લંડન
ભારતીય ટેસ્ટ ટીમ
વિરાટ કોહલી (કૅપ્ટન), અજિંક્ય રહાણે, રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગરવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ.
સમયસર ફિટ થશે તો: લોકેશ રાહુલ અને વૃદ્ધિમાન સહા
સ્ટૅન્ડ-બાય: અભિમન્યુ ઈશ્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ણા, આવેશ ખાન અને અર્ઝન નાગવાસવાલા