15 May, 2021 01:50 PM IST | New Delhi | Agency
નરેન્દ્ર મોદી
દેશ એક અદૃશ્ય શત્રુ સામે લડી રહ્યો છે એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કોરેના વાઇરસ સામેની લડતમાં વિજયનો વિશ્વાસ અપાવતાં જણાવ્યું હતું કે દેશ કોવિડ-19ની બીજી લહેર સામે યુદ્ધના ધોરણે લડી રહ્યો છે.
પીએમ-કિસાન યોજના પર વિડિયો-કૉન્ફરન્સને સંબોધન કરતાં મોદીએ કહ્યું કે ‘અત્યાર સુધીમાં કોવિડ-19 વૅક્સિનના ૧૮ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે તથા દેશના તમામ લોકો જલદીથી રસી મેળવે એ સરકાર સુનિશ્ચિત કરશે. ૧૦૦ વર્ષ પછી આવી મહામારી વિશ્વમાં આવી છે, જે ડગલે ને પગલે વિશ્વની કસોટી કરી રહી છે. આપણી સામે એક અજાણ્યો શત્રુ છે, જે અનેક સ્વરૂપમાં દેખા દઈ રહ્યો છે. કોરોના વાઇરસ સામેની લડતમાં આપણે યુદ્ધના ધોરણે કામ કરીને દરેક અવરોધનો સામનો કરી વિજયી થઈ રહ્યા છીએ.’
કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે વિદેશી સહાયરૂપે કુલ 10,796 ઑક્સિજન-કૉન્સન્ટ્રેટર્સ તેમ જ ૧૨,૨૬૯ ઑક્સિજન સિલિન્ડર્સ, ૧૯ ઑક્સિજન જનરેશન પ્લાન્ટ્સ અને ૪.૨ લાખ રેમડેસિવિર વાયલ્સ અત્યાર સુધીમાં વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને પહોંચાડવામાં આવ્યાં છે.