15 October, 2019 03:27 PM IST | મુંબઈ ડેસ્ક
ઉસ્માનાબાદ : (જી.એન.એસ.) મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ૨૦૧૯ માટે પ્રચારમાં લાગેલા શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો અમે બીજેપીને સમર્થન ન આપત તો સરકાર પડી જાત. રાજ્યના ઉસ્માનાબાદમાં શિવસેનાની ચૂંટણી રૅલીને સંબોધતાં શિવસેનાના નેતાએ કહ્યું કે જો મહારાષ્ટ્રમાં બીજેપી સરકારને સમર્થન ન આપ્યું હોત તો સરકાર પડી જાત. બીજેપીની સરકાર શિવસેનાને કારણે ચાલે છે.
અયોધ્યામાં વિવાદિત માળખું તોડી પડાયા બાદ મુંબઈમાં થયેલાં રમખાણોને લઈને એનસીપી નેતા અજિત પવારના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એ સમયે બાળ ઠાકરેની ધરપકડ કરી એ ભૂલ હતી એવું અજિત પવાર કહે છે તો તેઓ માફી કેમ માગતા નથી?
ઉદ્ધવ ઠાકરેએ અજિત પવારને પૂછ્યું કે ‘મુંબઈનાં રમખાણોમાં દરવાજા બંધ કરીને મુંબઈની ચાલ બાળવામાં આવી એ સમયે તમે કાર્યવાહી કેમ નહોતી કરી, ગોળીઓ કેમ નહોતી ચલાવી. શિવસેનાએ મુંબઈમાં હિન્દુઓને બચાવ્યા હતા.’