14 April, 2021 10:49 AM IST | Darjeeling | Agency
દાર્જિલિંગમાં ગઈ કાલે ચૂંટણી-રૅલી દરમ્યાન અમિત શાહ. પી.ટી.આઇ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળમાં બીજેપીની સરકાર રચાશે તો પર્વતીય પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલી ‘ગોરખા સમસ્યા’નું રાજકીય નિવારણ લાવવાની ખાતરી આપી હતી.
જાહેર સભામાં શાહે જણાવ્યું હતું કે દેશનું બંધારણ ‘વ્યાપક’ છે અને એમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની જોગવાઈ છે. હું વચન આપું છું કે બંગાળમાં બીજેપીની સરકાર રચાય, ત્યાર બાદ ગોરખા સમસ્યાનું કાયમી રાજકીય નિરાકરણ લવાશે. તમારે આંદોલનનો સહારો લેવો નહીં પડે, એમ તેમણે જણાવ્યું હતું. જોકે તેઓ કઈ સમસ્યા વિશે વાત કરી રહ્યા છે એની સ્પષ્ટતા કરી નહોતી. ગોરખા સમુદાય લાંબા સમયથી અલગ રાજ્યની માગણી કરી રહ્યો છે અને સમુદાય દ્વારા ઘણાં આંદોલન કરવામાં આવ્યાં છે.