15 September, 2021 01:09 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
ભારતમાં દર વર્ષે ૧૫ સપ્ટેમ્બર ‘એન્જિનિયર ડે’ તરીકે ઉજવાય છે. આજના આ વિશેષ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમણે ભારત રત્ન એમ. વિશ્વેશ્વરૈયાની જન્મજયંતિ હોવાથી શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
વડાપ્રધાને ટ્વિટ કરતા લખ્યું હતું કે, ‘તમામ મહેનતુ એન્જિનિયરોને એન્જિનિયર દિવસની શુભકામનાઓ. આપણા દેશને ટૅક્નિકલી અદ્યતન બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા બદલ આભાર માનવા માટે પૂરતા શબ્દો નથી. હું એમ. વિશ્વેશ્વરૈયાની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપું છું અને તેમની સિદ્ધિઓને યાદ કરું છું’.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લખ્યું, ‘સર એમ. વિશ્વેશ્વરૈયાજીને શ્રદ્ધાંજલિ, એક ઉત્કૃષ્ટ એન્જિનિયર અને તેમની જયંતિ પર તમામ ક્ષેત્રના લોકો માટે પ્રેરણા’. વધુમાં તેમણે લખ્યું હતું, ‘અમારા તેજસ્વી એન્જિનિયરોને એન્જિનિયર્સ દિવસની શુભેચ્છાઓ, જેઓ આશ્ચર્યજનક નવીનતાઓ દ્વારા આત્મનિર્ભર ભારત તરફ સતત પ્રયત્નશીલ છે’.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લખ્યું છે, ‘એન્જિનિયર્સ ડે પર, હું એવા તમામ એન્જિનિયરોને શુભેચ્છાઓ આપવા માંગુ છું જેઓ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે અને અત્યંત સમર્પણ, જ્ઞાન અને સખત મહેનત સાથે અનેક નવા માર્ગ બનાવી રહ્યાં છે’.
જગત પ્રકાશ નડ્ડાએ લખ્યું છે, ‘એન્જિનિયર્સ ડેના દિવસે ભારત રત્ન એમ. વિશ્વેશ્વરૈયાની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપું છું. અમારા પ્રતિભાશાળી એન્જિનિયરો રાષ્ટ્ર નિર્માણમાં તેમનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે અને આ દેશને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યાં છે’.