રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ૧૭ મે સુધી લંબાવાયું લૉકડાઉન

09 May, 2021 02:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ વખતે લૉકડાઉન વધુ સખત હશેઃ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ

ફાઈલ તસવીર

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર ચાલી રહી છે. જેમાં કોરોના બેકાબૂ બન્યો છે. દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત દેશભરમાં પરિસ્થિતિ ખરાબ છે. અહીં દરરોજ ૨૦,૦૦૦ની આસપાસ કેસ નોંધાય છે. દિલ્હીની નજીક આવેલા ગાજિયાબાદ (Ghaziabad), નોઇડા (NOida) ઉપરાંત ગુરુગ્રામ (Gurugram) અને ફરિદાબાદ (Faridabad)માં પણ આવી જ પરિસ્થિતિ છે. આ દરમિયાન દિલ્હી (Delhi) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની સરકારોએ લૉકડાઉન ૧૭મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હી અને ઉત્તર પ્રદેશ બાદ હરિયાણા પણ રવિવાર સાંજ સુધીમાં આગામી સપ્તાહ સુધી લૉકડાઉન વધારવા અંગે નિર્ણય લઈ શકે છે.

રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતિ હજુ કાબૂમાં આવી નથી. જોકે, દિલ્હીમાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. પણ સ્થિતિ સામાન્ય થાય તે માટે સરકારે લૉકડાઉન ૧૭ મે સુધી લંબાવી દીધું છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં લૉકડાઉન ૧૦ મેના રોજ પુરુ થવાનું હતું. હવે તે ૧૭ મે સવાર સુધી લાગુ રહેશે. કેજરીવાલે એમ પણ કહ્યું કે, આ વખતે લૉકડાઉન વધુ સખત રહેશે. જેથી સંક્રમણની ગતિને કાબુમાં કરી શકાય.

દિલ્હીમાં સોમવારથી મેટ્રો સર્વિસને પણ બંધ કરવામાં આવશે. આ સિવાય કોઈ પણ મેરેજ હોલ, બેન્કવેટ હોલ કે હોટલમાં લગ્ન થઈ શકશે નહિ. લગ્ન કરવા પર પ્રતિબંધ નથી, જોકે લગ્ન માત્ર ઘર કે કોર્ટમાં જ થઈ શકે છે. અત્યાર સુધી લગ્નમાં 50થી વધુ લોકોને સામેલ થવાની પરવાનગી હતી, જોકે હવે 20થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહિ. લગ્નમાં ડીજે, ટેન્ટ, કેટરિંગની પણ પરવાનગી નહીં હોય.

બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં ફરી એક વાર વીકેન્ડ કોરોના કર્ફ્યુ ૧૭ મે સાવરે ૭ વાગ્યા સુધી વધારી દેવામાં આવ્યો છે. આ દરમિયાન દરેક પ્રકારની પ્રતિબંધો લાગુ રહેશે. આવશ્યક સેવાઓને છૂટ મળતી રહેશે. મૂળે, પંચાયત ચૂંટણી પૂર્ણ થયા બાદ સંક્રમણના વધેલા ખતરાને જોતાં યોગી આદિત્યનાથ સરકારે આ પગલા ભર્યા છે.

ઉત્તર પ્રદેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓને છુટ આપવામાં આવી છે. મેડિકલ અને જરૂરિયાતની વસ્તુઓના ટ્રાન્સપોર્ટેશનને છુટ આપવામાં આવી છે. ઈ-કોમર્સ ઓપરેશન્સ એટલે કે, ઓનલાઈન પોર્ટલ દ્વારા મળેલા જરૂરી સામાનનો ઓર્ડર ડિલીવર કરી શકવાની છુટ આપવામાં આવી છે.

એટલું જ નહીં, રાજસ્થાન સરકારે ૨૪ મે સુધી સખત લૉકડાઉનની જાહેરાત કરી છે. સોમવાર સવારે ૫ વાગ્યાથી ૨૪મે સુધી સખત લૉકડાઉન રહેશે. ઈમરજન્સીને બાદ કરતા બસો સહિત પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્પપોર્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઈપણ કારણ વગર ઘરની બહાર નીકળનારને પોલીસ સીધી ક્વૉરન્ટાઈ કરશે.

રાજસ્થાનમાં ટ્રન્સપોર્ટેશન પર પ્રતિબંધ રહેશે. એક શહેરથી બીજા શહેરમાં જવા પર પ્રતિબંધ રહેશે. ગામડામાં પણ આ જ પ્રકારની સખ્તાઈ રહેશે. શહેરમાંથી ગામડામાં અને ગામડામાંથી શહેરમાં જવા પર પ્રતિબંધ રહેશે. ખાનગી અને સાર્વજનિ ટ્રાન્સપોર્ટેશનના સાધન સંપૂર્ણ રીતે બંધ રહેશે. ૨૪ મે સુધી આવશ્યક સેવાઓને બાદ કરતા તમામ સરકારી ઓફિસ, બજાર અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાન બંધ રહેશે. લગ્નમાં ૧૧થી વધુ મહેમાન ભેગા નહીં થઈ શકે. અંતિમ સંસ્કારમાં ૨૦થી વધુ લોકો સામેલ નહીં થઈ શકે. લગ્ન સમારંભ, ડીજે સહિતની મંજૂરી ૩૧ મે સુધી નહીં. મેરેજ ગાર્ડન, મેરેજ હોલ અને હોટલ લગ્ન સમારંભ માટે બંધ રહેશે.

coronavirus covid19 national news delhi news new delhi rajasthan uttar pradesh