અમદાવાદની દુર્ઘટના બાદ ઍર ઇન્ડિયાને ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન

24 January, 2026 12:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે જૂનમાં ડ્રીમલાઇનર ક્રૅશમાં ૨૪૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો

ફાઇલ તસવીર

ગયા વર્ષે અમદાવાદમાં ઍર ઇન્ડિયાના વિમાનની જીવલેણ દુર્ઘટના બાદ આ ઍરલાઇનને આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું રેકૉર્ડ નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. વિમાન-દુર્ઘટના ઉપરાંત ભારત સાથે લશ્કરી અથડામણ બાદ પાકિસ્તાને ભારતીય ઍરલાઇન્સ માટે એનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દેતાં ઍરલાઇનની કમાણી પર વધુ અસર પડી હતી.

તાતા ગ્રુપ અને સિંગાપોર ઍરલાઇન્સ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ ધરાવતી આ ઍરલાઇન ૩૧ માર્ચે પૂરા થતા વર્ષ માટે ઓછામાં ઓછા ૧૫,૦૦૦ કરોડ રૂપિયા (૧.૬ બિલ્યન ડૉલર)નું નુકસાન નોંધાવવા માટે તૈયાર છે એમ આ સંદર્ભમાં જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું. ભારત સાથે લશ્કરી અથડામણ બાદ પાકિસ્તાન દ્વારા ભારતીય ઍરલાઇન્સ માટે એની ઍરસ્પેસ બંધ કરવાથી ઍરલાઇન્સની કમાણી પર વધુ અસર પડી હતી, જેના કારણે ઍરલાઇન્સને યુરોપ અને અમેરિકા માટે ઊંચા ખર્ચે લાંબા રૂટ પર ઉડાન ભરવાની ફરજ પડી હતી એમ તેમણે ઉમેર્યું હતું.

ગયા વર્ષે જૂનમાં ડ્રીમલાઇનર ક્રૅશમાં ૨૪૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ પહેલાં ખોટ કરતી ઍર ઇન્ડિયા નફાકારકતા તરફ પાછી ફરી રહી હતી. આ નાણાકીય વર્ષમાં ઑપરેશનલ બ્રેક-ઈવનનું કંપનીએ લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ નફાકારકતા હવે પહોંચની બહાર છે.

air india ahmedabad plane crash plane crash airlines news india directorate general of civil aviation dgca tata group national news news