04 May, 2021 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી અને અમિત શાહ
દેશનાં ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ અને કેરલાના તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશ પૉન્ડિચેરીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આખા દેશની નજર પશ્ચિમ બંગાળનાં ચૂંટણી પરિણામો પર હતી. જોકે શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં ગઈ કાલે જણાવાયું હતું કે પશ્ચિમ બંગાળનાં પરિણામો પરથી એ ફલિત થઈ ચૂક્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અજેય નથી.
કોવિડ-19ની મહામારી સામે લડવાને બદલે વડા પ્રધાન સહિત સંપૂર્ણ કેન્દ્ર સરકાર મમતા બૅનરજીને હરાવવા માટે પશ્ચિમ બંગાળમાં ઊતરી હોવાનું ‘સામના’માં જણાવાયું હતું. રવિવારે મમતાએ સતત ત્રીજી વાર જીત હાંસલ કરી બીજેપીને મહાત આપી હતી. મહારાષ્ટ્રમાં એનસીપી અને કૉન્ગ્રેસ સાથેના ગઠબંધનથી સત્તા ભોગવનારી શિવસેના પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નથી લડી રહી પરંતુ મમતા બૅનરજીને ટેકો આપી રહી છે.