નાશિકના સ્ટાર મોલમાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાખ; અફરાતફરી વચ્ચે લોકોનું સ્થળાંતર

06 May, 2026 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Nashik Star Mall Fire: બુધવારે નાશિકના સ્ટાર મોલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે, કોઈ જાનહાનિ નહીં; સાવચેતીના પગલા તરીકે, નજીકની હોસ્પિટલમાંથી દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)માં વધુ એક જગ્યાએ આગ લાગવાની દુર્ઘટના બની છે. બુધવારે નાશિક (Nashik) ના સ્ટાર મોલ (Star Mall)માં આગ લાગી હતી. જેમાં અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે, જોકે સદ્નસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી. આ આગ સ્ટાર મોલના (Star Mall Fire) બેઝમેન્ટમાં લાગી હતી.

બુધવારે સ્ટાર મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આગની ઘટનાના વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યા છે જેમાં મોલની ઇમારતમાંથી ઘટ્ટ ધુમાડો નીકળતો જોઈ શકાય છે. અન્ય દ્રશ્યોમાં ફાયર ફાઈટરોની સીડીઓ વડે સ્થળાંતરના પ્રયાસો થતા જોવા મળે છે, કારણ કે કેટલાક વ્યક્તિઓ ઇમારતમાં ફસાયેલા હતા. સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

મોલના બેઝમેન્ટમાં લાગી આગ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ મોલના સંકુલના બેઝમેન્ટમાં ફાટી નીકળી હતી, જ્યાં એમ્બ્યુલન્સ સહિત પાર્ક કરેલા ત્રણ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. બેઝમેન્ટમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને ત્યાં હાજર લોકો અને આસપાસના રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

નાશિક રોડ ફાયર બ્રિગેડ (Nashik Road fire brigade)ના જવાનો અને મહારાષ્ટ્ર ફાયર સર્વિસિસ (Maharashtra Fire Services)નો સ્ટાફ બે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આગ ભલે ભીષણ હતી, પરંતુ તે વાહનો પૂરતી જ મર્યાદિત રહી હતી અને ઇમારતના માળખા સુધી ફેલાઈ નહોતી.

બાજુની હોસ્પિટલના દર્દીઓને ખસેડવામાં આવ્યા

સ્ટાર મોલના બેઝમેન્ટમાં ફાટી નીકળેલી આગ માત્ર વાહનો પૂરતી મર્યાદિત રહી હતી, પરંતુ ઘટ્ટ કાળો ધુમાડો ઝડપથી ઇમારતના કેટલાક ભાગોમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે હોસ્પિટલના અમુક ખાસ વિસ્તારોમાં તાત્કાલિક બચાવ કામગીરી કરવાની જરૂર પડી હતી.

સાવચેતીના પગલા રૂપે, સંકુલમાં કાર્યરત હોસ્પિટલોના કેટલાક દર્દીઓને પરિસરની અંદર જ સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉપનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જયંત શિરસાઠે જણાવ્યું હતું કે, સ્થળાંતર મર્યાદિત હતું અને માત્ર ધુમાડાથી પ્રભાવિત ભાગોમાં જ કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે સંપૂર્ણ સ્તરે સ્થળાંતર કરવાની જરૂર પડી નહોતી, કારણ કે આગને લીધે ઇમારતની મજબૂતી (સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી) પર કોઈ અસર થઈ નહોતી. અપ્રભાવિત વિસ્તારોમાં રહેલા દર્દીઓ ત્યાં જ રહ્યા હતા.

ફાયર ઓફિસર રાજેન્દ્ર સોનવણેએ જણાવ્યું હતું કે ધુમાડો દેખાયાના ટૂંક સમયમાં જ વિભાગને જાણ કરવામાં આવી હતી. ટીમોએ તાત્કાલિક પ્રતિસાદ આપ્યો અને ૩૦ મિનિટની અંદર પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સફળ રહી હતી, જેનાથી વધુ નુકસાન થતું અટકાવી શકાયું હતું.

આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સત્તાવાળાઓએ આ મામલે વધુ અને ઝડપી તપાસ શરૂ કરી છે.

nashik fire incident maharashtra maharashtra news mumbai mumbai news viral videos