ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-સુરત રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેનો રદ

22 July, 2026 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai-Surat train services hit: ઉદવાડા અને પારડી સ્ટેશનો વચ્ચે ભારે વરસાદના કારણે માટી ધોવાઈ જતાં મુંબઈ-સુરત રેલવે સેક્શન પર ટ્રેન સેવાઓ ખોરવાઈ; પશ્ચિમ રેલવેએ ડાઉન મેઈન લાઈન પરનો વાહનવ્યવહાર સ્થગિત કર્યો; કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે

આ વિક્ષેપને કારણે અનેક ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે (તસવીરોઃ મિડ-ડે)

ગુજરાત (Gujarat)માં ઉદવાડા (Udvada) અને પારડી (Pardi) સ્ટેશનો વચ્ચે ભારે વરસાદના કારણે માટી અને બેલાસ્ટ (કાંકરી) ધોવાઈ જતાં આજે બુધવારે વ્યસ્ત મુંબઈ-સુરત રેલવે સેક્શન (Mumbai Surat Railway Section) પર ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાને કારણે ટ્રેક નજીક આવેલો એક સિગ્નલનો થાંભલો બેસી ગયો હતો અને નમી ગયો હતો. સુરક્ષાના પગલે વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા ડાઉન મેઈન લાઈન પર વાહનવ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

રેલવે સત્તાવાળાએ (Indian Railways) મુસાફરોની અવરજવર જાળવી રાખવા અને ભીડ નિયંત્રિત કરવા માટે સિંગલ લાઈન (અપ મેઈન લાઈન) પર ટ્રેનો ચલાવીને સમારકામની કામગીરી હાથ ધરી છે.

મુખ્ય રેલવે ટ્રેકને (Mumbai-Surat train services hit) માળખાકીય રીતે કોઈ જ નુકસાન થયું નથી, પરંતુ અસરગ્રસ્ત સ્થળે ૯ મીટર ઊંચો એમબેંકમેન્ટ (માટીનો બંધ) હોવાથી સમારકામનું કામ વધુ પડકારજનક બન્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રેક પૂર્વવત કરવામાં ૬ થી ૭ કલાકનો સમય લાગવાની શક્યતા છે.

આ ટ્રેનો પર પડી અસર

ટ્રેન વ્યવહાર ખોરવાતાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી છે (Short-Terminated) અથવા ડાયવર્ટ કરવામાં આવી છે.

અહીં જોઈ લો યાદીઃ

ઉમરગામ રોડ - વલસાડ પેસેન્જર (૬૯૧૫૩): આજે રદ કરવામાં આવી છે.

અમદાવાદ - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (૧૨૯૩૪): વલસાડ સુધી જ ચલાવવામાં આવી છે. રિટર્ન બાંદ્રા ટર્મિનસ - અમદાવાદ એક્સપ્રેસ (૧૨૯૩૩) વલસાડથી જ ઊપડશે (વલસાડ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બંને તરફ રદ રહેશે).

અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (૧૨૯૩૨): નવસારી સુધી જ ચલાવવામાં આવી છે. રિટર્ન મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ એક્સપ્રેસ (૧૨૯૩૧) નવસારીથી ઊપડશે (વલસાડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રદ રહેશે).

ભુજ - દાદર એક્સપ્રેસ (૨૦૯૦૮ - ૨૧ જુલાઈ): સુરત સુધી જ ચલાવવામાં આવી છે. રિટર્ન દાદર - ભુજ એક્સપ્રેસ (૨૦૯૦૭) સુરતથી જ ઊપડશે.

અજમેર - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (૧૨૯૯૬ - ૨૧ જુલાઈ): વલસાડ સુધી જ ચલાવવામાં આવી છે અને રિટર્ન સેવા પણ ત્યાંથી જ શરૂ થશે.

વડોદરા - દહાણુ રોડ મેમુ (૨૨૯૩૦): ભિલાડ સુધી જ ચલાવવામાં આવી છે અને રિટનર્ન જરની ભિલાડથી જ શરૂ થશે.

મુંબઈ સેન્ટ્રલ - વાપી પેસેન્જર (૫૯૦૪૫): ઘોલવડ સુધી જ ચલાવવામાં આવી છે અને રિટનર્ન જરની ત્યાંથી જ ચાલશે.

બોરીવલી - વલસાડ પેસેન્જર (૬૯૧૩૯): વાપી સુધી જ ચલાવવામાં આવી છે.

સુરત - ઉમરગામ રોડ પેસેન્જર (૬૯૧૫૪): વલસાડ સુધી જ ચલાવવામાં આવી છે.

અત્સયારે મારકામનું કામ ચાલુ હોવાથી પશ્ચિમ રેલવેએ મુસાફરોને પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનની લેટેસ્ટ સ્થિતિ તપાસી લેવાની ખાસ સલાહ આપી છે.

western railway indian railways surat mumbai mumbai news mumbai rains mumbai monsoon gujarat news Gujarat Rains