‘અરિહા કો વાપસ લાના હૈ’

19 September, 2022 09:49 AM IST  |  Mumbai | Rohit Parikh

ગઈ કાલે મુંબઈ અને સાબરમતીમાં એક વર્ષથી જર્મનીમાં ફસાયેલી જૈન સમાજની દીકરી અરિહાને પાછી લાવવા માટેના આવા નારા ગુંજી ઊઠ્યા હતા

ગઈ કાલે સાઉથ મુંબઈમાં ૨૦૦થી વધુ જૈન સંઘોની સામૂહિક રથયાત્રા દરમિયાન અરિહા અને તેનાં માતા-પિતાની રચના અને અરિહા બચાવોનાં પ્લૅકાર્ડ સાથે ટ્રકમાં બેઠેલાં ભાયખલાના સુમેર ટાવરનાં બાળકો અને મહિલાઓ

ભારતીય મૂળની જૈન દીકરી અરિહા ભાવેશ શાહનું ડાઇપર ચેન્જ કરવા જતાં તેનાં દાદીથી અજાણતાં જ અરિહાના પ્રાઇવેટ પાર્ટ પર ઈજા થયા બાદ જર્મનીની સરકાર દ્વારા અરિહાને તેનાં માતા-પિતાથી દૂર કરીને જર્મનીના ફોરેસ્ટ કૅર સેન્ટરમાં મૂકી દેવામાં આવી છે. અરિહાને અમને ન સોંપો તો કંઈ નહીં, પણ તેને જર્મનીના ફોરેસ્ટ કૅર સેન્ટરને બદલે ભારતના કોઈ જૈન પરિવારને સોંપીને તેનો ઉછેર કરવામાં આવે એવી માગણી અરિહાની મમ્મી ધારા અને તેના પપ્પા ભાવેશ છેલ્લા એક વર્ષથી જર્મનીની ભારતની એમ્બેસી અને આપણા દેશના વિદેશ મંત્રાલય પાસે કરી રહ્યાં છે. જોકે ધારા અને ભાવેશને આજ સુધી ભારતની એમ્બેસી કે આપણા દેશના વિદેશ મંત્રાલય તરફથી કોઈ જ સકારાત્મક પ્રતિભાવ ન મળતાં આ મુદ્દાને હવે ભારતમાં જૈન સાધુ-સંતો અને જૈન સમાજે ઉગ્ર બનાવી દીધો છે. ગઈ કાલે આ મુદ્દા પર ભાયખલાના સુમેર ટાવર સંઘના મહિલા મંડળની અગ્રણી કાર્યકર સીમા જૈનના નેતૃત્વ હેઠળ સાઉથ મુંબઈમાં નીકળેલી ૨૦૦ જૈન સંઘોની રથયાત્રામાં અરિહા અને તેનાં માતા-પિતાની રચના બનાવીને અરિહા બચાવો અને અરિહા ભારત પાછી લાવોના નારાને  ઉગ્ર બનાવ્યો હતો. 

સાઉથ મુંબઈમાં ગઈ કાલે મુંબઈના ૨૦૦થી વધુ જૈન સંઘોની રથયાત્રા કોઈ પણ સમુદાય કે સંપ્રદાયના ભેદભાવ વગર પર નીકળી હતી, જેમાં ૫૦૦થી વધુ સાધુભગવંતો સહિત ૫૦,૦૦૦થી વધુ ભાવિકો જોડાયા હતા. એમાં અલગ-અલગ જૈનો સંઘો દ્વારા પચીસથી ૩૦ ઝાંકી રજૂ કરવામાં આવી હતી. આ રથયાત્રા જૈનમ જયતિ શાસનના નારાથી ગુંજી ઊઠી હતી.  (તસવીર : અતુલ કાંબળે)

આ બાબતની માહિતી આપતાં સીમા જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આપણે બધા જૈનોએ સાથે મળીને જર્મનીમાં ફસાયેલી માસૂમ અરિહાને ભારત લાવવા માટે મહેનત કરવાની છે. એમાં ફક્ત જૈનો જ નહીં, ભારતના બધા નાગરિકોએ જોડાવાની જરૂર છે. આજે ભારતભરના જૈન સાધુ-સંતોના આશીર્વાદથી જૈન સમાજમાં એક જ નારો ગુંજે છે કે અરિહાનું ગમે તે ભોગે તેનાં માતા-પિતા સાથે મિલન કરાવી આપવાનું છે.’

આ પણ વાંચો : જર્મનીમાં અરિહા શાહનું જૈન ફૅમિલી સાથે મિલન ક્યારે?

આથી જ ગઈ કાલની રથયાત્રામાં અમારા સુમેર ટાવર જૈન સંઘે અન્ય ૨૫થી ૩૦ ઝાંકીની સાથે અરિહા બચાવોની ઝાંકી લોકજાગૃતિ લાવવા માટે પ્રદર્શિત કરી હતી એમ જણાવીને સીમા જૈને કહ્યું હતું કે ‘અમે આ ઝાંકીમાં અરિહાની અને તેના માટે તરસી રહેલાં તેનાં મમ્મી-પપ્પાની રચનાઓ ઊભી કરી હતી. એની સાથે ભારતના નકશાની રચના અને એક વિડિયો તૈયાર કર્યાં હતાં. એમાં અમે અરિહાને ભારત પાછી લાવવા માટેની વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયને અપીલ કરી હતી. ગઈ કાલે અરિહા બચાવોની ઝાંકી રજૂ કરવા માટે સુમેર ટાવરના રહેવાસીઓનું એક જ લક્ષ અને નારો હતો કે અરિહા કો ભારત વાપસ લાના હૈ.’

mumbai mumbai news germany ghatkopar rohit parikh