10 August, 2026 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી
આજે સોમવાર, ૧૦ ઓગસ્ટે મુંબઈ (Mumbai) ના સબર્બન ટ્રેન નેટવર્કમાં વસઈ રોડ (Vasai Road), દાદર (Dadar) અને ગોરેગામ (Goregaon) સ્ટેશનો પર ત્રણ અલગ-અલગ ટેકનિકલ ખામીઓ સર્જાતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારના વહેલા સમય અને પીક-અવર્સ દરમિયાન થયેલા આ ભંગાણને કારણે (Mumbai Local Train services hit by triple technical failures) મહત્વપૂર્ણ ફાસ્ટ લાઇન અને હાર્બર લાઇન પ્રભાવિત થઈ હતી, જેના લીધે ટ્રેનો થંભી ગઈ હતી, પ્લેટફોર્મ પર ભારે ભીડ જામી હતી અને અઠવાડિયાના પહેલા જ દિવસે ટ્રેનોના સમયપત્રક ખોરવાઈ ગયા હતા.
ટેકનિકલ ખામીઓનો આ સિલસિલો સોમવારે વહેલી સવારે વસઈ રોડ સ્ટેશનથી શરૂ થયો હતો. વેસ્ટર્ન રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દીવા ડાઉન અને અપ ફાસ્ટ લાઇન પરના પોઇન્ટ મશીન ૧૧૧/૧૧૨ સવારે ૪:૪૬ વાગ્યે ખોટવાઈ ગયા હતા.
આ ખામી બાદ, વસઈ રોડના ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ કાર્યાલયના રેલવે સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને મેન્યુઅલી (હાથથી) પોઇન્ટ ક્લેમ્પિંગનું કામ શરૂ કર્યું હતું. આ ટેકનિકલ ખામીના કારણે દક્ષિણ મુંબઈ તરફ જતી અપ ફાસ્ટ ટ્રેનો રોકાઈ ગઈ હતી, જેનાથી સમગ્ર કોરિડોર પર વહેલી સવારથી જ ટ્રેનો મોડી પડી હતી.
ઓફિસે જનારા મુસાફરોથી સ્ટેશનો ઉભરાઈ રહ્યા હતા ત્યારે સવારના ધસમસતા સમયમાં થોડી જ મિનિટોના અંતરે વધુ બે ટેકનિકલ ખામીઓ સામે આવી હતી. દાદર સ્ટેશન ખાતે સવારે આશરે ૧૦:૧૦ વાગ્યે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પરના પોઇન્ટ ૧૪૩/૧૪૪ રિવર્સમાંથી નોર્મલ પોઝિશનમાં ઓપરેટ થવામાં નિષ્ફળ રહ્યા હતા.
તેના થોડા સમય બાદ, સવારે ૧૦:૨૨ વાગ્યે ગોરેગામ સ્ટેશન ખાતે અન્ય એક ટેકનિકલ ભંગાણના અહેવાલ મળ્યા હતા, જ્યાં અપ અને ડાઉન હાર્બર લાઇન પરના પોઇન્ટ ૧૨૭/૧૨૮ અને ૧૨૯/૧૩૦ ખોટવાઈ ગયા હતા. એકસાથે પોઇન્ટ-મશીન નિષ્ફળ જવાથી મુખ્ય જંકશનો પ્રભાવિત થયા હતા, જેના કારણે સામાન્ય ટ્રેક-બદલવાની કામગીરી અટકી ગઈ હતી અને ટ્રેનોને મેન્યુઅલ કામગીરી માટે રાહ જોવાની ફરજ પડી હતી.
આ ત્રિપલ ટેકનિકલ ખામીઓને કારણે સમગ્ર સબર્બન નેટવર્ક પર વ્યાપક અસર પડી હતી, જેના લીધે ટ્રેનોની લાઈનો લાગી ગઈ હતી અને પ્લેટફોર્મ પર અતિશય ભીડ થઈ ગઈ હતી. કોર્પોરેટ હબ તરફ મુસાફરી કરી રહેલા લોકોએ લાંબો સમય રાહ જોવી પડી હતી અને કેટલીક લોકલ ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં ઘણી મોડી ચાલી રહી હતી.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિગ્નલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા અને પોઇન્ટ્સને મેન્યુઅલી ઓપરેટ કરવા માટે ત્રણેય સ્થળોએ પ્રાથમિકતાના ધોરણે એન્જિનિયરિંગ અને ટેકનિકલ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ટ્રેનોની આવર્તન (ફ્રિકવન્સી) સામાન્ય કરવા અને મોડી પડેલી સબર્બન સેવાઓનો બેકલોગ ક્લિયર કરવા માટે તાત્કાલિક ધોરણે કટોકટી પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી હતી.