07 February, 2026 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં અેકનાથ શિંદેની શિવસેનાને ટેકો આપ્યા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ હવે નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પણ આવો જ ટેકો આપ્યો છે. નાશિકમાંથી MNSના ચૂંટાઈ આવેલાં નગરસેવિકા મયૂરી પવારે શિંદેસેના સાથે તેમનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમના આ પગલાથી શિવસેના (UBT)ના નેતાઓ નારાજ થયા છે. ઉદ્ધવ ઠાકરે જૂથના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘શિવસેના (UBT) અને MNSએ સાથે મળીને મહાનગરપાલિકાઓની ચૂંટણી લડી હતી અને પ્રચાર દરમ્યાન BJP અને શિંદેની શિવસેના સામે આક્રમક પ્રચાર કર્યો હતો. જો MNS ચૂંટણી પછી શિંદેની પાર્ટીને ટેકો આપે છે તો એ ખોટો રાજકીય સંદેશ આપે છે.’
MNSએ નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફક્ત એક જ બેઠક જીતી હતી. શુક્રવારે પાર્ટીના એકમાત્ર કૉર્પોરેટર મયૂરી પવારે શિંદેની શિવસેનાને ટેકો આપ્યો હતો અને તેમની સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.