10 August, 2026 02:49 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચેની બેઠકની ફાઇલ તસવીર
છેલ્લા થોડાક દિવસથી મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra Politics)માં કશુંક રંધાઈ રહ્યું હોવાના એંધાણ આવી રહ્યા છે. એક તરફ પ્રશાંત કિશોર રાજ્યનાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુનેત્રા પવાર સાથે મુલાકાતો કરી રહ્યા છે તો બીજી તરફ આજે શરદચંદ્ર પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના આઠ સાંસદોએ અચાનક દિલ્હીમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી સાથે બંધ બારણે અડધો કલાક મીટિંગ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
આ સમાચારથી મહારાષ્ટ્રના રાજકારણમાં નક્કી કંઇક તો મોટું રંધાઈ રહ્યું હોવાની ગંધ આવી આવી રહી છે. નૅશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુળેની સાથે પાર્ટીના તમામ ૮ લોકસભા સાંસદોએ આજે દિલ્હીસ્થિત સંસદભવનમાં એકાએક અડધો કલાક સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મીટિંગ કરી છે. આ બેઠક બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં અટકળોનો દોર ચાલી રહ્યો છે કે આખરે રાજ્યના રાજકારણ (Maharashtra Politics)માં કઈ ખિચડી ચૂલે ચડી છે!
કેટલાક રિપોર્ટ્સ પરમાંને આ અડધા કલાકની બેઠક (Maharashtra Politics) દરમિયાન શરદચંદ્ર પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ વડા પ્રધાન મોદીને લેખિતમાં કેટલીક માંગણીઓ કરી છે. તેમાં સૌથી મહત્ત્વનો મુદ્દો મહારાષ્ટ્રની મહાન વિભૂતિઓને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એટલે કે`ભારત રત્ન` આપવા અંગેનો છે. ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલે, મહાત્મા જ્યોતિબા ફુલે, રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ અને અન્નાભાઉ સાઠે જેવી મહારાષ્ટ્રની પરમ વંદનીય વિભૂતિઓને ભારત રત્ન એનાયત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ સાથે જ નવી મુંબઈ એરપોર્ટનું નામ `ડી. વાય. પાટીલ એરપોર્ટ` રાખવાની માંગ પણ પ્રાઇમ મિનિસ્ટર આગળ રજૂ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
સાંસદ સુપ્રિયા સુળેના જણાવ્યા અનુસાર સંસદની કામગીરી સતત ખોરવાઈ રહી હોવાથી સાંસદોએ ડાયરેક્ટ વડા પ્રધાનને મળીને રાજ્યના પ્રશ્નો રજૂ કરવામાં ભલાઈ સમજી હતી. રાજ્યના મુશળધાર વરસાદને કારણે થયેલ અતિવૃષ્ટિએ જે રીતે ખેડૂતોનું નુકસાન કર્યું છે તેની સાથે જ પાકના ભાવ, પાણીની અછત, સિંચાઈના મુદ્દાઓ અને ખેડૂતોની આત્મહત્યા જેવા ગંભીર વિષયો પણ પણ આ અડધો કલાકની ચર્ચામાં છેડાયા હતા. તે ઉપરાંત સાંસદોને મળતા રૂ. ૫ કરોડના સાંસદ ફંડની વાત પણ નીકળી હતી કે તેમાં આવી રહેલ વ્યવહારિક અડચણો અંગે વડા પ્રધાનશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોની તમામ રજૂઆતો અત્યંત ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આ પ્રશ્નો અંગે સકારાત્મક વિચારણા કરીને યોગ્ય પગલાં ભરવાનું આશ્વાસન આપ્યું હતું.
જોકે આ મુલાકાતને લઇને ભાજપ નેતા નવનીત રાણાએ પ્રતિક્રિયા (Maharashtra Politics) આપતાં કહ્યું કે, "જો મહારાષ્ટ્રના વિકાસ અને પ્રગતિ માટે શરદ પવારની પાર્ટીના સાંસદો પ્રધાનમંત્રીને મળી રહ્યા હોય, તો તેમાં કંઇ ખોટું નથી.અને જો કોઈપણ અટકળ સાચી ઠરે તો તે પછી રાજ્યના નસીબ પર છે."