09 September, 2022 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સુધરાઈએ હજી સુધી બળવાખોર શિવસેના કૅમ્પે શિવાજી પાર્ક ખાતે વાર્ષિક દશેરા રૅલી યોજવા દાખલ કરેલી અરજી પર નિર્ણય લીધો નથી એમ જણાવતાં બીજેપીના નેતા અને રાજ્યના પ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા બંને પાર્ટી (શિવસેના અને બળવાખોર કૅમ્પ)ની અરજી નામંજૂર કરાય અને તેમને અન્ય કોઈ જાહેર સ્થળે દશેરા રૅલી યોજવા જણાવાય એવી શક્યતા છે.
ઉદ્ધવ ઠાકરેએ ૨૨ ઑગસ્ટે જ્યારે શિંદે કૅમ્પે ૩૦ ઑગસ્ટે દશેરા રૅલી માટે અરજી કરી હતી. બૅક-અપ પ્લાન તરીકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં રૅલી યોજવા માટે પરવાનગી મેળવવા પણ અરજી કરી છે.
દશેરા રૅલી શિવસેનાનો એક મહત્ત્વનો વાર્ષિક કાર્યક્રમ છે. જોકે એકનાથ શિંદેએ ૪૦ વિધાનસભ્યોનો સાથ લઈને સેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યા પછી તેમ જ પક્ષ તથા પક્ષના ચિહન પર દાવો કર્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બંને પક્ષોએ શિવાજી પાર્ક ખાતે દશેરા રૅલી યોજવા માટે મંજૂરી મેળવવા અરજી કરી છે. જોકે સુધરાઈ બંને પાર્ટીની અરજી નામંજૂર કરીને તેમને અન્ય કોઈ જાહેર સ્થળે દશેરા રૅલી યોજવા જણાવે એવી શક્યતા છે.
દરમ્યાન એનસીપીના સુપ્રીમો શરદ પવારે ગયા અઠવાડિયે મુખ્ય પ્રધાન શિંદેને ઘર્ષણ ટાળીને બધાને સાથે લઈને ચાલવાની સલાહ આપી હતી, જ્યારે અજિત પવારે કહ્યું હતું કે દશેરા રૅલી પરની ભીડ નક્કી કરશે કે કઈ સેના સાચી છે.