12 June, 2019 06:23 PM IST | પોરબંદર
વાયુ વાવાઝોડું હવે પોરબંદર તરફ ફંટાયું છે. વેરાવળ તરફથી હવે પોરબંદર તરફ ફંટાયું છે. સાથે જ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાનો સમય પણ બદલાયો છે. ગુરુવારે સવારના બદલે હવે વાવાઝોડું ગુરુવારે બપોરે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે.
વેરાવળને રાહત, પોરબંદર પર આફત
વાયુ વાવાઝોડું ફંટાતા વેરાવળના નાગરિકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, બીજી તરફ પોરબંદરવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા છે. વાવાઝોડું પોરબંદર તરફ ફંટાતા હવે પોરબંદરમાં સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. વાયુના કારણે ઉભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના કહેવા પ્રમાણે , મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે દરિયાકાંઠાના અસરગ્રસ્ત 10 જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી.
આ પણ વાંચોઃ વાયુ વાવાઝોડાની ગુજરાતમાં આવી છે અસર, જુઓ ફોટોઝ
ચાલી રહ્યું સ્થળાંતર
રાજ્યભરમાં બપોર સુધીમાં 1 લાખ 60 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. જે માટે રાજ્યભરમાં 1,216 જેટલાં કેમ્પ તૈયાર કરાયા છે. જેમાં એન.જી.ઓ. તથા ધાર્મિક સંસ્થાઓના સહયોગથી રહેવાની, જમવાની, પીવાના પાણીની પૂરે પૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે. આ ઉપરાંત પણ સ્થળાંતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.