TMC પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે કરી ધરપકડ, શા માટે? જાણો

06 December, 2022 09:57 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગોખલે પર મોરબી બ્રિજ તૂટી પડવા (Morbi Tragedy)ના મામલે વડાપ્રધાન મોદી વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ છે.

સાકેત ગોખલે

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના સાકેત ગોખલે (Saket Gokhle)ની સોમવારે ગુજરાત પોલીસે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ગોખલે પર મોરબી બ્રિજ તૂટી પડવા (Morbi Tragedy)ના મામલે વડાપ્રધાન મોદી (PM Modi) વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ છે. ધરપકડની માહિતી તેમના પક્ષના સાથી અને રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા આપવામાં આવી છે.

ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રાયને જણાવ્યું કે સાકેત ગોખલે સોમવારે રાત્રે 9 વાગ્યે નવી દિલ્હીથી ફ્લાઈટ લઈને જયપુર પહોંચ્યા હતા. અહીં ઉતરતાની સાથે જ ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી હતી. મોડી રાત્રે 2 વાગ્યે તેણે તેની માતાને ફોન પર ધરપકડની જાણ કરી હતી. એ પણ જણાવ્યું કે ગુજરાત પોલીસ તેને અમદાવાદ લઈ જઈ રહી છે.

પાર્ટીના જણાવ્યા અનુસાર, તેમની ધરપકડ બાદ તરત જ તેમને 2 મિનિટ માટે કોલ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ પછી તેનો મોબાઈલ સહિતનો તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ડેરેક ઓ`બ્રાયને કહ્યું કે, `મોરબી બ્રિજ અકસ્માત અંગે અમદાવાદ સાયબર સેલમાં સાકેત ગોખલે સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો છે. આ બધું અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષના અવાજને બંધ કરી શકતું નથી. ડેરેકે ભાજપ પર બદલાની રાજનીતિનો આરોપ પણ લગાવ્યો છે.

આ પણ વાંચો:મોંઘવારીની ઝાળ ગુજરાતના મતદાનને લાગી?

ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેએ 1 ડિસેમ્બર 2022ના રોજ દાવો કર્યો હતો કે પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ PM મોદીની ગુજરાતમાં મોરબીની મુલાકાતની વ્યવસ્થા પર ₹30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ગોખલેએ ટ્વિટર પર એક ગુજરાતી અખબારની ક્લિપિંગ પોસ્ટ કરી હતી, જેમાં દાવો કર્યો હતો કે આરટીઆઈના જવાબમાં PMની મોરબીની મુલાકાત માટે માત્ર થોડા કલાકો માટે 30 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ પછી તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:ગુજરાત: કૉંગ્રેસે PM પર મૂક્યો આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ, જાણો શું કહ્યું?

આ કહેવાતા અહેવાલને ટાંકીને ગોખલેએ દાવો કર્યો હતો કે ₹5.5 કરોડ ફક્ત `રિસેપ્શન, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી` માટે હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે `મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરની કિંમત 135 લોકોના જીવ કરતાં પણ વધુ છે`, કારણ કે દુર્ઘટનાના 135 પીડિત પરિવારોમાંથી પ્રત્યેકને ₹4 લાખની એક્સ-ગ્રેશિયા આપવામાં આવી હતી, જે કુલ ₹5 કરોડ જેટલી થાય છે. 

આ પણ વાંચો:ચૂંટણીનો બીજો તબક્કો : મતદાનમથકેથી લાઇવ અગેઇન

આ પછી ઘણા ટ્વિટર યુઝર્સે આ ક્લિપ શેર કરી છે. જો કે ગુજરાત ભાજપે કહ્યું છે કે આ ફેક ન્યૂઝ છે. આવી કોઈ RTI ફાઈલ કરવામાં આવી ન હતી કે કોઈ RTIને આવો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. ગુજરાત ભાજપે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે નવી ક્લિપિંગ બનાવટી છે. હકીકતમાં આવો કોઈ અહેવાલ ક્યાંય પ્રકાશિત થયો નથી.

gujarat news ahmedabad trinamool congress morbi narendra modi