17 December, 2023 08:00 AM IST | Surat | Shailesh Nayak
સુરત ડાયમન્ડ બુર્સનું આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે
દક્ષિણ ગુજરાતના વડા મથક સુરતમાં આવેલા ખજોદ ખાતે વિશ્વના હીરાબજાર માટે ડાયમન્ડ બિઝનેસના વિશ્વના સૌથી મોટા પ્લૅટફૉર્મ સુરત ડાયમન્ડ બુર્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે. ત્યારે સુરત ડાયમન્ડ બુર્સમાંથી દેશ-વિદેશમાં કરોડોનો કારોબાર થવાનો હોવાથી અહીં ભારતનું સૌથી મોટું કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ બનાવ્યું છે. વડા પ્રધાન આજે સુરત ઍરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું પણ લોકાર્પણ કરશે. એટલું જ નહીં, નરેન્દ્ર મોદી ડાયમન્ડ બુર્સમાં ખુદ તેમનાં જ ૧૧૦ પેઇન્ટિંગ્સ નિહાળશે.
સુરત ડાયમન્ડ બુર્સની મીડિયા કમિટીના કન્વીનર દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બિઝનેસ ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર આધારિત છે. ૧૦૦ ટકા રૉ મટીરિયલ્સ ઇમ્પોર્ટ કરીએ છીએ અને ૯૫ ટકા કટ અને પૉલિશ્ડ એક્સપોર્ટ કરીએ છીએ એટલે જે સ્થળે આટલો મોટો કારોબાર થતો હોય એ સ્થળ પર કસ્ટમ્સ હાઉસની જરૂર હોય એટલે ભારતનું સૌથી મોટું કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ બનાવ્યું છે, જેના કારણે વેપારીઓને બહાર જવુ પડશે નહીં. બુર્સમાં નીચે કસ્ટમ ક્લિયરન્સ હાઉસ બનાવ્યું છે અને ત્યાંથી બધુ ક્લિયર થશે.’
તેઓએ કહ્યું હતું કે ‘સુરત ડાયમન્ડ બુર્સમાં નીચેના ફ્લોર પર ગૅલરી છે ત્યાં નરેન્દ્ર મોદીનાં અલગ-અલગ ૧૧૦ પેઇન્ટિંગ્સ બનાવીને મૂક્યાં છે એ નરેન્દ્ર મોદી જોશે. અહીં બે સાઇડમાં નરેન્દ્રભાઈના દોરેલા ફોટો મૂક્યા છે.’
સુરત ડાયમન્ડ બુર્સમાં આવેલી ઑફિસો
સુરત ડાયમન્ડ બુર્સના ઉદ્ઘાટન પહેલાં નરેન્દ્ર મોદી ૩૫૩ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત સુરત ઍરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના પ્રધાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકારે સુરત ઍરપોર્ટને આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટનો દરજ્જો આપ્યો છે ત્યારે સુરત ઍરપોર્ટથી દુબઈ અને હૉન્ગકૉન્ગની ફ્લાઇટ શરૂ થશે એવી જાહેરાત ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગઈ કાલે કરી હતી.
વડા પ્રધાન સુરત આવી રહ્યા છે ત્યારે સુરતમાં છ પૉઇન્ટ પર બીજેપીના કાર્યકરો, રત્ન કલાકારો સહિત સુરતના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નરેન્દ્ર મોદીનું સ્વાગ્ત કરશે. સુરતના એક વેપારીએ પંચધાતુની સુરત ડાયમન્ડ બુર્સની પ્રતિકૃતિ બનાવી છે એ નરેન્દ્ર મોદીને ગિફ્ટમાં અપાશે.