વાંચો, પપ્પાની 3 લાઈને કેવી રીતે પ્રશાંતને બનાવી દીધો સાંઈરામ દવે ?

13 March, 2019 03:49 PM IST  |  | ભાવિન રાવલ

વાંચો, પપ્પાની 3 લાઈને કેવી રીતે પ્રશાંતને બનાવી દીધો સાંઈરામ દવે ?

હાસ્ય કલાકાર સાંઈરામ દવે

ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે સાંઈરામને ઓળખતો ન હોય, ભાગ્યે જ એવો કોઈ ડાયરો થતો હશે જ્યાં સ્ટેજ પર સાંઈરામ દવે ન હોય. આજે સાંઈરામના સ્ટેજ પર આવવા માત્રથી જ તાળીઓનો ગડગડાટ થાય છે. સાંઈરામે સાંભળવા માટે હકડેઠઠ મેદની ઉભરાય છે. પણ જો હાસ્ય કલાકાર સાંઈરામ દવેના પપ્પાએ તેમને ત્રણ લાઈનો ન કહી હોત તો કદાચ ગુજરાતી ભાષાને અને ગુજરાતીઓને એક પ્રતિભાવંત ગુજરાતી કલાકાર મળ્યો જ ન હોત. ખુદ સાંઈરામ પણ પોતાની આ સફળતા પાછળ પોતાના પપ્પાની મહેનત અને પ્રેરણાને જ કારણભૂત ગણાવે છે.

મૂળ તો સાંઈરામ દવે પણ બાળપણમાં મોટા ભાગના બાળકોની જેમ ક્રિકેટર બનવા ઈચ્છતા હતા. મૂળ તો સાંઈરામના પપ્પા અને મમ્મી બંને શિક્ષક હતા. એટલે ઘરની આર્થિક સ્થિતિ સારી કહી શકાય એવી હતી. અને એ જમાનામાં બોલ-બેટ સાંઈરામ પાસે જ હતા. સાંઈરામ કહે છે કે,'ક્રિકેટનો મને ગાંડો શોખ હતો. એટલો શોખ કે ક્રિકેટ રમવા જઉં તો ખાવા પીવાનું પણ ભાન ન રહે. પણ પપ્પાને મારો ક્રિકેટનો શોખ ખાસ ગમતો ન હતો.'

મૂળ તો વિષ્ણુપ્રસાદ દવે એટલે કે સાંઈરામના પિતાજીની ઈચ્છા તેમને ભજનિક બનાવવાની હતી અને સાંઈરામના કહેવા પ્રમાણે તેમના પપ્પાએ તેની પૂરી તૈયારી પણ કરી હતી. 1983માં સાંઈરામ જ્યારે માત્ર સાત વર્ષના હતા ત્યારે તેમને સંગીત શીખવવા દુર્લભભાઈ નામના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક આવતા. સાંઈરામને તે સમયે તો ખાસ સંગીતનો શોખ નહોતો પણ શીખવું ફરજિયાત હતું. સાંઈરામ કહે છે કે આમ કરતા કરતા હું રાગમાં ઘડિયા પાકા કરતો થઈ ગયો. માલકૌંસ, ભૂપાલી સારંગ સહિતના 12 રાગ મેં ઘડિયા ગાતા ગાતા જ શીખ્યા.

તેમના પપ્પા ખુદ આકાશવાણી રેડિયોના ભજનિક એટલે પુત્ર પ્રશાંતને પણ ભજનિક બનાવવાની પ્રબળ ઈચ્છા હતી. પરંતુ માતા સરોજને મનમાં હતું કે પ્રશાંત સારું એવું ભણીને નોકરી કરે. માતા-પિતાના સપના વચ્ચે પ્રશાંતને તો પાછું ક્રિકેટર બનવું હતું. આખરે પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન નાનકડા પ્રશાંતે દૂરદર્શન માટે સાત ભજન ગાયા અને તેમના પપ્પાએ દ્રઢ નિશ્ચય તેમનો આ પુત્ર તો ભજનિક જ બનશે.

જો કે ગુરુકુળના અભ્યાસ બાદ દસમું ધોરણ પાસ કરીને સાંઈરામ રાજકોટની સરકારી પોલિટેક્નિક કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. સાંઈરામ કોલેજના દિવસોને યાદ કરતા કહે છે કે એ દિવસોમાં હું પૂરા બાવીસ અલગ-અલગ અવાજ કાઢીને મિમિક્રી કરતો હતો, તો ક્રિએટિવિટી પણ લાજવાબ હતી. કોલેજના દિવસોમાં સાંઈરામ જુદા જુદા એક્ટર્સની મિમિક્રી કરતા, અને મિત્રો વખાણતા પણ ખરા. ત્યારથી સાંઈરામને લાગ્યું કે આપણામાં કુદરતી બક્ષિસ છે. અને સાંઈરામે જાતને મઠારવાની શરૂ કરી.

જો કે એક દિવસ સાંઈરામના પિતાની વાપી ટ્રાન્સફર થઈ. અને નોકરી પર હાજર થતા પહેલા તેમણે ત્રણેય દીકરા અને પત્નીને કહ્યું કે,'મારી ગેરહાજરીમાં મારા તબલાં-પેટીને બાળી મૂક્જો. મારો વારસો જાળવવાવાળું કોઈ નથી. પ્રશાંત, તારા પર મને આશા હતી, પણ તું તો તારી મમ્મીનું સપનું જીવવાનો છે એટલે હવે કોઈ મારું સપનું પૂરું નથી કરવાનું.મને તારા પર આશા હતી કે તું એક દિવસ ભજનિક બનીશ પણ…' બસ આ શબ્દોએ પ્રશાંતની સાંઈરામ સુધીની સફર શરૂ કરી.

નવાસવા એન્જિનિયર બનેલા પ્રશાંતે પપ્પાની ઈચ્છાથી પીટીસી કર્યું અને ભજનો ગાવાના શરૂ કર્યા. શરૂઆત થઈ શોકસભાથી. જો કે તે સમયે તો માંડ ગાંઠાયિનો ખર્ચો નીકળતો. ધીરે ધીરે સાંઈરામને લોકસાહિત્યમાં રસ પડ્યો. પરંતુ પપ્પાએ કહ્યું કે ત્યાં પહોંચવું અઘરું છે. પણ સાંઈરામે નક્કી કર્યું તો કર્યું. તેમણે લોકસાહિત્યના દુહા, છંદ, ગીતો કથાઓ યાદ કરવા રીતસરના અનુષ્ઠાન આદર્યા. સાંઈરામ કહે છે કે ક્યારેક એવું પણ થતું કે હું ખોટું બોલતો અને ઓડિયન્સ ભૂલ સુધારતું.

જો કો આ સ્ટ્રગલ દરમિયાન સાંઈરામ માટે કપરો સમય પણ આવ્યો ક્યારેક ક્યારે તેમને ડાયરામાં આખી રાત બેસવું પડતું પણ બોલવાની તક ન મળતી. તો ક્યારેક ખુદ તેમના પિતા જ તેમની પરીક્ષા કરતા. સાંઈરામના પિતા તેમના જ બધા જોક્સ બોલી દેતા અને સાંઈરામ સામે કંઈક નવું આપવાનો પડકાર આવી જતો. જો કે અહીં પણ પપ્પા જ તેમના ગાઈડ બન્યા અને કહ્યું કે તુ વધુ વાંચ અને તારું કંઈક બનાવ. સાંઈરામ કહે છે કે મારા પપ્પા જ મારા માટે રોલ મોડેલ છે. મારી કરિયર બને તે માટે તેમણે પણ પગના તળિયા ઘસી નાખ્યા છે.

પ્રશાંતમાંથી સાંઈરામ બનવા પાછળ પણ તેમના પપ્પા વિષ્ણુપ્રસાદનો જ હાથ છે. એક કાર્યક્રમમાં તેમના પિતા મુંબઈ ગયેલા. ત્યાં સાંઈરામ ઐયર નામના ગાયકનું પર્ફોર્મન્સ તેમને બહુ ગમી ગયું. એટલે પ્રશાંતને પિતાએ સ્ટેજનું નામ સાંઈરામ આપ્યું.. આજે સ્થિતિ એવી છે કે પત્ની દીપાલી એક જ મને પ્રશાંત કહીને સંબોધે છે, બાકી બધાની જીભે સાંઈરામ નામ ચડી ગયું છે.

હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર તરીકે સફળ સાંઈરામ દવે રાજકોટમાં નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ નામની સ્કૂલ પણ ચલાવે છે. નચિકેતા સ્કૂલ શરૂ કરવાનો આઈડિયા તો સાંઈરામ પાસે હતો પરંતુ ફંડની તકલીફ હતી. પણ નૈરોબી સ્થિત મિત્રે તેમનો આ વિચાર જાણ્યો અને કહ્યું કે આગળ વધો, બધું થઈ જશે. નીતિન માલદેના સાથથી 2015માં નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ શરૂ થઈ. સાંઈરામની આ સ્કૂલની ખાસિયત એ છે કે અહીં અહીંની અંગ્રેજી માધ્યમની સ્કૂલનો વિદ્યાર્થીઓ વેદની ઋચાઓ અને શ્લોક બોલી જાણે છે અને દેશ-વિદેશની વાતો પર પણ ચર્ચા કરી શકે છે.

આ પણ વાંચોઃ જુઓ, દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના રૅર અને અનોખા ફોટોઝ

તો એક ફાસ્ટ બોલર બનવાના સપનાથી એન્જિનિયરિંગના અભ્યાસ અને છેલ્લે સફળ શિક્ષક, લોકસાહિત્યકાર બનવા સુધી પ્રશાંત ઉર્ફે સાંઈરામ દવેએ ઘણા ચડાવ ઉતાર જોયા છે. સાંઈરામની જીવન સફર કોઈ પણ સપના જોતા યુવાન માટે પ્રેરણા સમાન છે.

gujarat news