10 April, 2022 09:32 AM IST | Ahmedabad | Rashmin Shah
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત બીજેપીના પ્રેસિડન્ટ અને સંસદસભ્ય સી. આર. પાટીલ સાથે
ગયા વીકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત બીજેપીના તમામ સંસદસભ્યોને મળ્યા. આ નૉન-પૉલિટિકલ મીટિંગ હતી એવું બીજેપીના સંસદસભ્યો કહે છે, પણ એવું નહોતું એ પણ એટલું જ સાચું છે. ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન વહેલું લેવામાં આવે તો ગુજરાત બીજેપીના સંસદસભ્યોની તૈયારી કેવી છે એ સંદર્ભની આ મીટિંગ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સંસદસભ્યોની ગતિવિધિઓ પણ જાણી લીધી હતી અને એ જ અંતર્ગત મોદીએ ગુજરાત બીજેપીના પ્રેસિડન્ટ અને નવસારીના સંસદસભ્ય સી. આર. પાટીલને તેમના સોશ્યલ મીડિયાના ફૉલોઅર્સ દેખાડીને પૂછ્યું હતું કે ‘આ ફૉલોઅર્સ કેમ આટલા ઓછા છે?’
નરેન્દ્ર મોદીએ આ સવાલ પર્ટિક્યુલરલી ટ્વિટર માટે પૂછ્યો હતો. સી. આર. પાટીલ ટ્વિટર પર સાડાત્રણ લાખ જેટલા ફૉલોઅર્સ ધરાવે છે, જે તેમના જેવા કદની વ્યક્તિ માટે બહુ ઓછા કહેવાય એવું નરેન્દ્ર મોદીને લાગતાં તેમણે આ વાત હળવાશથી પૂછી હતી. જોકે નરેન્દ્ર મોદીની હળવાશને પણ સી. આર. પાટીલે ગંભીરતાથી લીધી હતી અને દિલ્હીથી પાછા આવ્યા પછી જો કોઈ પહેલું કામ કર્યું હોય તો એ કે તેએ ટ્વિટર પર જબરદસ્ત ઍક્ટિવ થઈ ગયા હતા અને માત્ર સી. આર. પાટીલ જ નહીં, હાજર રહેલા તમામ સંસદસભ્યો પણ ઍક્ટિવ થઈ ગયા હતા.
નરેન્દ્ર મોદીની આ ટકોર પરથી એ પણ પુરવાર થાય છે કે ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં આ વખતે સોશ્યલ મીડિયા કૅમ્પેન જોરશોરમાં થશે.