નીતિન પટેલ ભડક્યા છે : શંકરસિંહ વાઘેલાને મળ્યા

16 September, 2021 10:42 AM IST  |  Gandhinagar | Agency

બીજેપીના જ કેટલાક ઉચ્ચ નેતાઓને આ મુલાકાતની આઇબી પાસેથી માહિતી મળતાં મોડી રાત સુધી પક્ષમાં દોડધામ મચી ગઈ હતી. આખરે નીતિન પટેલ કેમ શંકરસિંહ વાઘેલાને મળવા પહોંચ્યા એ જાણવામાં પક્ષના નેતાઓ લાગ્યા છે.

નીતિન પટેલ ભડક્યા છે : શંકરસિંહ વાઘેલાને મળ્યા

ગુજરાત બીજેપીમાં સૌથી નારાજ નેતાઓમાં નીતિન પટેલ આગળ છે. ત્રણ વાર મુખ્ય પ્રધાનપદની રેસ માટે નામ આગળ હોવા છતાં તેમના મોઢા પાસે આવેલો કોળિયો છીનવાયો હોય એવું બન્યું છે. આવામાં નીતિન પટેલ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાને પણ મળ્યા હોવાના અહેવાલ છે.  
બીજેપીના જ કેટલાક ઉચ્ચ નેતાઓને આ મુલાકાતની આઇબી પાસેથી માહિતી મળતાં મોડી રાત સુધી પક્ષમાં દોડધામ મચી ગઈ હતી. આખરે નીતિન પટેલ કેમ શંકરસિંહ વાઘેલાને મળવા પહોંચ્યા એ જાણવામાં પક્ષના નેતાઓ લાગ્યા છે. હાલ આ નારાજગી જોતાં નવા પ્રધાન મંડળમાં નીતિન પટેલના નામની બાદબાકી થાય છે કે નહીં એ મોટો સવાલ છે. તો બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માથા પર પણ લટકતી તલવાર છે. આ ઉપરાંત પક્ષ વિજય રૂપાણી માટે શું નિર્ણય કરે છે એ હજી જાહેર કરાયું નથી. આ વચ્ચે આ ત્રણેય દિગ્ગજોની નારાજગી બીજેપીનાં સમીકરણો બદલી શકે છે. 
ગાંધીનગરમાં નવા મંત્રીઓના શપથવિધિ સમારોહના ધમધમાટ વચ્ચે એક મોટી રાજકીય હલચલ થઈ છે. શપથવિધિ સમારોહની વચ્ચે કેટલાક દિગ્ગજ નેતાઓની નારાજગી બહાર આવી છે જેમાં રાજીનામું આપનાર વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની નારાજગીની ચર્ચા ચાલી રહી છે જેમને મનાવવા માટે મોડી રાત સુધી પ્રયાસો ચાલ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 
એટલું જ નહીં, આ રિસામણાં-મનામણાં વચ્ચે નીતિન પટેલ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે. બીજેપીમાં નારાજ નેતાઓનું લિસ્ટ લાંબું થઈ રહ્યું છે તેમ છતાં પક્ષના ઑર્ડરને શિરોમાન્ય ગણવાની આદત પડી ગઈ છે ત્યારે હવે નવા મુખ્ય પ્રધાન અને નવા પ્રધાન મંડળની રચના વચ્ચે કેટલાક નેતાઓની નારાજગી સામે આવી રહી છે. હાલ નારાજ નેતાઓમાં વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ ચર્ચામાં છે. ત્રણેય નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસો પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમની નારાજગી ખાળવા માટે બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત બીજેપી પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હતી. 
વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મનાવવાનો પ્રયાસ કરાયો છે, જેમાં સૌથી પહેલાં દોઢ કલાક વિજય રૂપાણી સાથે ચર્ચા કરવામાં આવી હતી. એ દરમિયાન નીતિન પટેલ, ચુડાસમાને પણ બોલાવવામાં આવ્યા હતા. લગભગ દોઢ કલાક સુધી બી. એલ. સંતોષ અને ભૂપેન્દ્ર યાદવે ત્રણેય નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આમ આ મુલાકાત બાદ પણ કોઈ મોટા ચેન્જિસ આવે એવી શક્યતા છે.

gujarat news gujarat politics gujarat Nitin Patel