14 March, 2019 05:33 PM IST |
અભિનેતા મનોજ જોષી
લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારો શોધવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે જુદી જુદી બેઠકો પર કોને ટિકિટ મળશે તેની ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદ પૂર્વ બેઠક પરથી પરેશ રાવલના બદલે અભિનેતા મનોજ જોષી ચૂંટણી લડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા અને અમદાવાદ પૂર્વના હાલના સાંસદ પરેશ રાવલે ચૂંટણી લડવાની ના પાડી છે, ત્યારે મનોજ જોષીને ટિકિટ મળે તેવી શક્યતા પ્રબળ છે.
નોંધનીય છે કે અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ પોતાના મતવિસ્તારમાં નિષ્ક્રિય હોવાની ફરિયાદો પણ સમયાંતરે ઉઠતી રહી છે. મતવિસ્તારની મુલાકાત દરમિયાન તેમનો વિરોધ પણ થયો છે. આ ઉપરાંત ગુજરાત ભાજપના કેટલાક મહત્વના કાર્યક્રમોમાં તેમની સતત ગેરહાજરીને કારણે પણ નારાજગી છે. પરિણામે પરેશ રાવલે ફિલ્મી કરિયર પર ધ્યાન આપવા ચૂંટણી લડવાની સ્વેચ્છાએ ના પાડી દીધી હતી. ત્યારે હવે ભાજપ હાઈકમાન્ડ પરેશ રાવલની જગ્યાએ નવા ઉમેદવાર શોધી રહ્યું છે.
આ પણ વાંચોઃ જ્યારે અમે ચોવીસના હતા.. યુવાનીની વાતો વાગોળે છે મનોજ જોષી, વંદના પાઠક અને અરવિંદ રાઠોડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી મનોજ જોષીએ ભાજપના પ્રચારની એડફિલ્મો પણ કરી હતી, ત્યારથી જ મનોજ જોષી ભાજપના નજીકના હોવાની ચર્ચા શરૂ થઈ હતી. સાથે જ મનોજ જોષી ગુજરાતી હોવાને કારણે પણ તેમનું પલડું ભારે છે. આ ઉપરાંત એક્ટરના બદલે એક્ટરને ટિકિટ આપવામાં આવે તો પણ મનોજ જોષીની શક્યતા પ્રબળ છે. જો કે આખરી નિર્ણય ભાજપનું પાર્લામેન્ટ્રી બોર્ડ કરશે.