08 June, 2026 07:11 AM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
યાત્રાધામ પાલિતાણાના શેત્રુંજય પર્વત પર ફરી એક વાર ગીરના સાવજનો ખોફ જોવા મળ્યો છે. વેકેશનની રજાઓને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પર્વત પર જઈ રહ્યા હતા ત્યારે યાત્રિકોની અવરજવર વચ્ચે અચાનક જ જંગલનો રાજા આવી ચડ્યો હતો. યાત્રાના મુખ્ય માર્ગ પર સિંહ આવી જતાં શ્રદ્ધાળુઓમાં ફફડાટ ફેલાયો હતો.
સિંહને જોઈને ગભરાયેલા યાત્રીઓ તાત્કાલિક પાછળ હટી ગયા હતા અને દૂર ચાલ્યા ગયા હતા. આ અફરાતફરી દરમ્યાન કેટલાક પ્રવાસીઓએ પોતાની બૅગ રસ્તા પર જ છોડી દીધી હતી. એમાંથી એક યાત્રાળુની બૅગ સિંહ પોતાના મોંમાં ઉપાડીને જંગલ તરફ ચાલ્યો ગયો હતો. યાત્રિકો દ્વારા આ વિશે તાત્કાલિક જાણ કરવામાં આવતાં વનવિભાગની ટીમ દોડતી થઈ હતી. તેમણે સિંહને ખસેડવાની સાથે-સાથે યાત્રાળુની બૅગ પણ પાછી અપાવી હતી.
સિંહે ક્યારેય નુકસાન નથી પહોંચાડ્યું
ઉલ્લેખનીય છે કે શેત્રુંજય પર્વત લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલો હોવાથી ત્યાં સતત અવરજવર રહે છે અને સાથે જ આ વિસ્તારમાં સિંહોનું પણ નિયમિત વિચરણ જોવા મળે છે. જોકે સદ્નસીબે અત્યાર સુધી સિંહોએ ક્યારેય માણસો પર હુમલો કર્યો નથી.