19 January, 2021 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં સુરતના કોસંબા વિસ્તારમાં એક ટ્રકની ચપેટમાં આવવાથી 15 લોકોનું મોત નીપજ્યું છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર, 'તમામ મૃતકો મજૂર છે અને તેઓ રાજસ્થાનના રહેવાસી હોવાનું જણાઈ રહ્યું છે.' આ બધા મજૂરો રસ્તાના કિનારે ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા, ત્યારે એક ટ્રેકે મજૂરોને નિર્દયતાથી કચડી નાખ્યા. જેના કારણે મજૂરોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કરતા આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમવનારા લોકોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ પણ ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક પીડિત પરિવારને 2 લાખ રૂપિયા અને દરેક ઘાયલ લોકોને 50,000 રૂપિયા આપવાની ઘોષણા કરી છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ સુરતમાં થયેલા આઘાતજનક અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
કેવી રીતે થયો અકસ્માત
દુ: ખદ અકસ્માત મંગળવારે સવારે સુરતના પાલોદ ગામે થયો હતો જ્યારે આ કામદારો રસ્તાની બાજુના ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા. તે જ સમયે શેરડીથી ભરેલો ટ્રેક્ટર અને ટ્રક સામ સામે આવી ગયા હતા અને ટ્રક ચાલકે પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો અને ટ્રક ફૂટપાથ પર સૂઈ રહેલા મજૂરો પર ચડી ગયો હતો, જેમાં 13 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ મજૂરોમાંથી બે મજૂરોના મોતના સમાચાર છે જે પછી અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે વધીને 15 થઈ ગઈ છે.