ગુજરાતમાં કોરોનાએ દેખા દીધી, ચારધામથી પાછાં આવેલાં એક મહિલાનો રિપોર્ટ આવ્યો પૉઝિટિવ

13 June, 2026 11:23 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આરોગ્ય વિભાગે તેમની ફૅમિલીના સભ્યોના રિપોર્ટ કરાવ્યા હતા જે નેગેટિવ આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગાંધીનગર પાસે આવેલા સરગાસણમાં રહેતાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે જેને કારણે આરોગ્ય વિભાગ અલર્ટ બન્યો છે. સરગાસણમાં રહેતાં મહિલા ચારધામની ધાર્મિક યાત્રા કરીને પાછાં ફર્યાં હતાં. ઘરે આવ્યા બાદ તેમને તાવ, શરદી થતાં બીમાર પડતાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. ત્યાં કોરોનાની ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. એને પગલે તેમને સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આરોગ્ય વિભાગે તેમની ફૅમિલીના સભ્યોના રિપોર્ટ કરાવ્યા હતા જે નેગેટિવ આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. 

રાજનાથ સિંહના ભત્રીજાનું મધ્ય પ્રદેશમાં અકસ્માતમાં મોત 

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ગુરુવારે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ-અકસ્માતમાં કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહના ભત્રીજાનું કરુણ મોત થયું હતું. આ ઘટના રાત્રે આશરે ૧૧ વાગ્યે શિપ્રા વિસ્તારમાં બની હતી. શુક્રવારે સવારે તેના મૃતદેહને વિશેષ વિમાન મારફત દિલ્હી ઍરલિફ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી અંતિમ સંસ્કાર માટે ઉત્તર પ્રદેશના બલિયા લઈ જવામાં આવ્યો હતો.અકસ્માતમાં જીવ ગુમાવનાર ૨૯ વર્ષનો પ્રભાત સિંહ પોતાના મિત્રો સાથે દેવાસથી ઇન્દોર પાછો ફરી રહ્યો હતો. આ દરમ્યાન શિપ્રા વિસ્તારમાં તેણે કાર રસ્તાના કિનારે રોકી હતી. પોતાનું કામ પતાવીને પ્રભાત જેવો ફરી કારમાં બેસવા જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી અનિયંત્રિત બસે તેને જોરદાર ટક્કર મારી હતી.

મુલુંડ પોલીસ-સ્ટેશન પાસે તોતિંગ ઝાડ કાર પર પડ્યું

મુલુંડ પોલીસ-સ્ટેશન પાસે ગુરુવારે રાતે એક તોતિંગ ઝાડ નીચે પાર્ક કરેલી કાર પર તૂટી પડ્યું હતું. એને કારણે કારને ખાસ્સું નુકસાન થયું હતું. ફાયર-બ્રિગેડના જવાનોએ ઝાડના થડ અને ડાળીઓ કાપીને એને દૂર કર્યું હતું. આ ઘટના મોડી રાતે બની હોવાથી રસ્તો ખાલી હતો એટલે કોઈ વ્યક્તિ ઘાયલ થવાના અહેવાલ નથી.

coronavirus covid19 gandhinagar ahmedabad char dham yatra gujarat gujarat news