15 August, 2020 11:38 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે કહેર સર્જાયો છે. આટલા દિવસથી વરસી રહેલા વરસાદને કારણે પાક વિનાશની આરે છે. કપાસ અને તૂવેર દાળ માટે પ્રખ્યાત જંબુસર વિસ્તારમાં ખેતરોમાં એટલો પાણી ભરાઈ ગયા છે કે હવે ખેડુતો ડર અનુભવે છે કે પાક બગાડી નહીં જાય. હવામાન વિભાગે વધુ પાંચ દિવસની ભારે વરસાદની ચેતવણી આપી છે, જેમાં ખેડૂત અને સામાન્ય લોકો બન્નેનાં માથા પર ચિંતાની રેખા દોરી છે.
તો બીજી તરફ છેલ્લા એક દિવસમાં પડેલા ભારે વરસાદથી નદી-નાળા છલકાઇ ગયા છે. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. તો અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. હીરણ, કપીલા અને સરસ્વતી નદીના પાણી ત્રિવેણી સંગમ પર પહોંચ્યા છે. ત્રણેય નદીઓમાં પૂર આવતા ત્રિવેણી ઘાટ પાણીમાં ગરકાવ થયો છે. તો સરસ્વતી નદીમાં ઘોડાપૂરથી પ્રાચીતીર્થ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. જ્યારે ઉપરવાસમાં વરસાદથી માધવરાય મંદિર નદીના પ્રવાહમાં જળમગ્ન થઈ ગયું છે.
સાથે જ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદ ચાલુ રહેશે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં આગામી બે-ત્રણ દિવસ હળવોથી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પશ્ચિમમાં ગુજરાત અને રાજસ્થાન, ઉત્તર પૂર્વના લગભગ તમામ રાજ્યોમાં 15 ઓગસ્ટે વરસાદ થવાની સંભાવના છે.