06 May, 2026 09:01 AM IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent
ડૉ. ગણેશ બારૈયા
પોતાની હાઇટ ઓછી હોવા છતાં મજબૂત મનોબળ સાથે આગળ વધીને હાલમાં ગુજરાતમાં ભાવનગર સિવિલ હૉસ્પિટલમાં તબીબ તરીકે કાર્યરત ડૉ. ગણેશ બારૈયાનું ગઈ કાલે ગાંધીનગરમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ ભાવસભર સન્માન કર્યું હતું. ડૉ. ગણેશ બારૈયાની શૈક્ષણિક સંઘર્ષગાથાને અભ્યાસ કરતા ગુજરાતના યુવાનો માટે દીવાદાંડી સમાન ગણાવીને યુવા પેઢીને સંદેશ આપતાં પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે ‘જીવનમાં કોઈ પણ નિષ્ફળતાથી ડરશો નહીં. ડૉ. ગણેશ બારૈયા જેવા લડવૈયા બનો. નિષ્ફળતામાં હતાશ થયા વિના અથાગ મહેનત કરીને ફરી બેઠા થવું એ જ સાચું જીવન છે. મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નિષ્ફળતાથી ગભરાવાની જરૂર નથી. માત્ર ડૉક્ટર કે એન્જિનિયર બનવું એ જ સફળતા નથી, પણ તમારામાં રહેલો માનવીય અભિગમ જ તમને શ્રેષ્ઠ બનાવે છે.’
આરોગ્ય પ્રધાનનો આભાર માનીને ડૉ. ગણેશ બારૈયાએ કહ્યું હતું કે મને મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ રિજેક્ટ કર્યો હતો, પરંતુ હતાશ થયા વિના સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીને મેં ડૉક્ટરની પદવી મેળવી છે.