01 April, 2020 06:50 PM IST | Ahmedabad | Gujarati Mid-Day Online Correspondent
દિલ્હી મરકઝમાં ગયેલા લોકો ગુજરાતમાં આંકડો વધારી શકે છે
એક તરફ આખી દુનિયામાં કોરોનાનાં નામની બુમરાણ છે, લોકો દિવસોથી ઘરમાં ભરાઇ રહ્યા છે ત્યારે દિલ્હીના નિઝામુદ્દીનના મરકઝે એક જ દિવસમાં આખા દેશમાં કોરોનાનો આતંક વધારી દીધો છે. ગુજરાત અને તે પણ ખાસ કરીને અમદાવાદ આ સ્થિતિમાં કોરોનાનું હોટસ્પોટ બની જાય તેવી વકી છે. ગુજરાત પોલીસે એવા લોકોને શોધવાની તપાસ આદરી છે જે આ મરકઝમાં ગયા હતા અને સુત્રો અનુસાર 29 ધર્મપ્રચારકો અમદાવાદથી દિલ્હીની આ મરકઝમાં હાજરી આપવા ગયા હતા. આ તમામ લોકો ATSનાં રડારમાં છે અને તેમને ક્વૉરેન્ટાઇન કરાયા છે. વળી અન્ય ૩૦ લોકો પણ મરકઝમાં ગયા હતા અને તેમને પણ ક્વૉરેન્ટાઇન કરાયા છે.મરકઝમાં હાજરી આપવા ગયેલાઓને શોધવા માટે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરાઇ રહ્યો છે અને ખાસ ટીમો આ માટે કાર્યરત છે.આ આંકડો ગમે ત્યારે વધી શકે તેમ છે. આ ઉપરાંત સુરત, બનાસકાંઠા સહિતનાં અન્ય જિલ્લાઓમાંથી મરકઝમાં ગયેલા લોકોની શોધ કરાઇ રહી છે.સુરતમાં દિલ્હીના આ તબલીગી જમાતના કાર્યક્રમમાં 72 જણા હાજર રહ્યા હતા અને આ કારણે સુરત તંત્ર પણ ફફડી ઉઠ્યું છે.હાલમાં સુરતમાં કૂલ 43 જણને શોધીને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે તથા બીજા લોકો શહેરની બહાર હોવાની માહિતી મળી છે.મહાનગર પાલિકાએ વિનંતી કરી છે કે જે લોકો આ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા તે સામેથી તંત્રને જાણ કરે જેથી જરૂરી પગલાં લઇ શકાય.