23 March, 2020 07:04 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતમાં કોરોના પૉઝિટવ કેસિઝની સંખ્યા વધીને 30 પર પહોંચી છે. કોરોના વાઇરસનાં પ્રસારનાં બીજા તબક્કામાં ગુજરાત પહોંચ્યો છે. વારઇસનો આ બીજો તબક્કો જોખમી હોય છે અને તે વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. સોમવાર સુધીમાં કોરોના વાઇરસનાં કુલ 30 પૉઝીટીવ કેસિઝ સામે આવ્યા છે. ગુજરાતનાં આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રાજ્યમાં બીજો તબક્કો શરૂ થયો હોવાની જાણ કરી હતી. અમદાવાદમાં સૌથી વધુ કુલ 13 કેસિઝ છે અને વડોદરામાં 3 બાદ આજે બીજા 3 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઇરસને કારણે પહેલું મૃત્યુ સુરતમાં નોંધાયુ અને વડોદરામાં આ પહેલાં થયેલા બે મૃત્યુમાંથી એકેય મોત કોરોના વાઇરસને કારણને નથી થયું, તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાનો પહેલો તબક્કો હતો જેમાં વિદેશથી આવેલાઓમાં જ તે વાઇરસ જોવા મળ્યો હતો પરંતુ હવે વાઇરસનાં કિસ્સા સ્થાનિક લોકોમાં પણ જોવા મળે છે. આ એ લોકો છે જે વિદેશથી આવેલાઓનાં સપર્કમાં આવ્યા હોય. ડૉ.રવિએ જણાવ્યું કે હાઇડ્રોક્સી ક્લોરોક્વીન અને એઝીથ્રોમાઇસીનની દવાના કોમ્બીનેશથી Covid-19નું પ્રમાણ ઘટાડવામાં મદદ થાય છે. જેમને બિમારી હોય તેમણે માસ્ક પહેરવા તથા આઇસોલેશનમાં રહેવું. કોરોનાવાઇરસને લઇને જરૂરી માર્ગદર્શિકાઓ પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. લૉકડાઉન હેઠળ ગુજરાતનાં છ જિલ્લા અમદાવાદ, સુરત, કચ્છ, વડોદરા, રાજકોટ તથા ગાંધીનગરનો સમાવેશ કરાયો છે તથા રાજ્યની બોર્ડ્સ પણ સીલ કરી દેવાઇ છે.