Exclusive: ટીમ ઈન્ડિયાના ચારૂલતા 'બા' હવે જોવા મળશે પેપ્સીની જાહેરાતમાં

04 July, 2019 03:42 PM IST  |  અમદાવાદ | ફાલ્ગુની લાખાણી

Exclusive: ટીમ ઈન્ડિયાના ચારૂલતા 'બા' હવે જોવા મળશે પેપ્સીની જાહેરાતમાં

ટીમ ઈન્ડિયાના ચારૂલતા 'બા' હવે જોવા મળશે પેપ્સીની જાહેરાતમાં

યાદ છે ભારતની બાંગ્લાદેશ સામેની મેચમાં જોવા મળેલા 87 વર્ષના બા? નામ એમનું ચારૂલતા પટેલ કે જે ઇન્ટરનેટમાં છવાઇ ગયા હતા. આ બા પાસેથી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માએ આશીર્વાદ પણ મેળવ્યા હતા? આ બા ના નામે તો સોશિયલ મીડિયા પર હેશટેગ પણ બની ગયા અને તેઓ લોકોના ફેવરિટ બની ગયા છે. Gujaratimidday.comને મળેલી Exclusive માહિતી પ્રમાણે ચારૂલતા પટેલ હવે પેપ્સીની જાહેરાતમાં પણ જોવા મળશે.

87 વર્ષના ચારુલતા બેનને વિશ્વ કક્ષાએ મળ્યું સ્ટારડમ
મેચમાં જોવા મળ્યા બાદ ચારૂલતા પટેલને એટલું સ્ટારડમ મળ્યું કે તેમણે ખાસ PR એજન્સી રાખવી પડી. આ માટે તેમણે અમદાવાદના પ્રારંભ પબ્લિક રીલેશન્સ અને એવર મીડિયા પર પસંદગી ઉતારી છે. જે વિશે વાત કરતા પ્રારંભ PRના મતિક મેમણે કહ્યું કે, "અમને ખુશી છે કે કેનેડાનાં વસતા ચારૂલતા પટેલે તેના PR, મીડિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે અમદાવાદની કંપની પર પસંદગી ઉતારી છે. સાથે અમને એ પણ જણાવતા આનંદ થાય છે કે ચારૂલતા પટેલ થોડા જ સમયમાં જાણીતી બ્રાન્ડ પેપ્સીની જાહેરાતમાં જોવા મળશે. જેના માટેની ફોર્માલિટીઝ પૂર્ણ થવામાં છે. "

વિરાટ કોહલીએ દાદીને આપી ભેટ
બાંગ્લાદેશ સામેનો મેચ પૂર્ણ થયા બાદ ચારૂલતાબેન વિરાટ કોહલીને મળ્યા હતા. તેમનો ઉત્સાહ જોઈને કોહલીએ તેમને સેમિ ફાઈનલ અને ફાઈનલની ટિકિટ પોતાના તરફથી ગિફ્ટ કરવાનું વચન આપ્યું છે. સાથે BCCIએ પણ જ્યાં જ્યાં ટીમ ઈન્ડિયાની મેચ હશે ત્યાં જોવા માટે ચારૂલતા પટેલને ફ્રીમાં ટિકિટ મળશે અને તેમનો તમામ ખર્ચ BCCI આપશે.

આ પણ વાંચોઃ ભોજન વગર ચાલી શકે, પરંતુ ક્રિકેટ વગર નહીં : ચારુલતા પટેલ

ચારૂલતા પટેલ ક્રિકેટના એટલા દીવાના છે કે તેઓ કહે છે કે, 'જમ્યા વગર ચાલશે પણ ક્રિકેટ વગર નહીં ચાલે.' આપણે આશા રાખીએ ચારૂલતા બાના આશીર્વાદ ફળે અને ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી જાય. સાથે જ તેમને પેપ્સીની જાહેરાતમાં જોવા માટે પણ સૌ આતુર છે.

gujarat ahmedabad world cup 2019 cricket news