21 May, 2023 08:43 AM IST | Mumbai | Shailesh Nayak
કાર્યક્રમમાં અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ગુજરાતમાં ઓખા નજીક મોજપ ખાતે રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમીનું ભૂમિપૂજન કરીને દેશના દુશ્મનોને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘તટીય સુરક્ષાની સર્વગ્રાહી નીતિ પછી મુંબઈ બ્લાસ્ટ જેવી ઘટના કરવાનો પ્રયાસ જો દુશ્મન હવે કરશે તો દાંત ખાટા કરવાવાળો જવાબ અહીંથી મળશે.’
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા નજીક ઓખા પાસે આવેલા મોજપ ખાતે રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમીનું ભૂમિપૂજન કરવા ઉપરાંત અમિત શાહે કચ્છ જિલ્લાના જખૌ તટ પર આવેલી બીએસએફની ૦૫ કોસ્ટલ આઉટપોસ્ટ, સરક્રીક વિસ્તારમાં લખપતવારી ખાતેના એક ઓપી ટાવરનું ઈ-ઉદ્ઘાટન કર્યું હતું.
બીએસએફ આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘દરિયાઈ સીમાની સુરક્ષા પર મુંબઈ પર આતંકી હુમલા પછી વિચાર શરૂ થયો ત્યારે એની જરૂરિયાત મહેસૂસ કરાઈ કે એક જ પ્રકારનો રિસ્પૉન્સ આ દરેક સીમા સુરક્ષા દળના જવાનોથી અને કોસ્ટગાર્ડના જવાનોથી મળવો જોઈએ.’