04 October, 2019 11:27 AM IST | અમદાવાદ
જળાશય
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યમાં સરેરાશ ૧૪૦.૯૮ ટકા વરસાદ થયો છે. જેના પરિણામે રાજ્યના ૨૦૪ જળાશય-ડૅમમાંથી ૧૨૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે એટલે કે છલકાયા છે. જ્યારે ૫૫ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે.
સરદાર સરોવર જળાશય એની કુલ સંગ્રહશક્તિના ૯૮.૨૬ ટકા ભરાયો છે તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગરના તા.૩ ઑક્ટોબર-૨૦૧૯ના સવારે ૮ વાગ્યા સુધીના અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં ૧૫ જળાશયોમાં હાલની સ્થિતિએ ૭૪.૨૧ ટકા, મધ્ય ગુજરાતનાં ૧૭ જળાશયોમાં ૯૮.૪૫ ટકા, દક્ષિણ ગુજરાતનાં ૧૩ જળાશયોમાં ૯૯.૪૨ ટકા, કચ્છનાં ૨૦ જળાશયોમાં ૭૬.૬૩ ટકા તેમ જ સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૯૧.૯૬ ટકા આમ રાજ્યમાં કુલ ૨૦૪ જળાશયોમાં ૯૪.૫૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૩ ઑક્ટોબર, ૨૦૧૮ની સ્થિતિ ૫૪.૮૧ ટકા પાણીનો જથ્થો સંગહાયેલો હતો. રાજ્યમાં હાલમાં મુખ્યત્વે સરદાર સરોવર ડૅમમાં ૨,૫૦,૧૫૫ ક્યુસેક, વણાકબોરીમાં ૭૬,૦૦૦ ક્યુસેક, કડાણામાં ૬૨,૮૭૦ ક્યુસેક, ઉકાઈમાં ૩૯,૪૮૫ ક્યુસેક તેમ જ ભાદર-૨માં ૧૬,૮૫૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે એમ અહેવાલમાં વધુમાં જણાવાયું છે.
આ પણ વાંચો : ટ્રાફિકનો દંડ ભરવાનું કહેતાં મહિલાની રસ્તા વચ્ચે નૌટંકી, પોલીસ સાથે મારામારી કરી
રાજ્યના કચ્છ ઝોનમાં મોસમનો સરેરાશ ૧૭૩.૧૭ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૧૮.૨૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૨૮.૩૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ ૧૪૮.૨૨ ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૪૩.૭ ટકા વરસાદ સાથે રાજ્યનો કુલ વરસાદ ૧૧૫૦.૪૧ મિ.મી. એટલે કે સરેરાશ ૧૪૦.૯૮ ટકા નોંધાયો છે.