15 August, 2019 09:08 AM IST | અમદાવાદ
પ્રતીકાત્મક તસવીર
૨૦૧૦ની બેચના ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) અધિકારી ગૌરવ દહિયા અને દિલ્હીની યુવતી વચ્ચેના કથિત પ્રેમ પ્રકરણ કેસમાં તપાસ સમિતિના રિપોર્ટ બાદ આઈએએસ દહિયાને ગુજરાત સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. દહિયાને તપાસ સમિતિને સહકાર ન આપવાના કારણે સસ્પેન્ડ કરાયા છે.
સરકારે દહિયાને ફરજ મોકૂફ સસ્પેન્શનમાં મૂકવાનો આદેશ કર્યો છે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ રાજ્ય સરકારે આકરું પગલું ભરતા આઈએએસ લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારે ઓર્ડરમાં જણાવ્યા મુજબ દહિયાને ફરજ મોકૂફ દરમિયાન હેડક્વાર્ટર અંગેની જાણ હવે પછી કરાશે. તપાસ સમિતિએ દહિયા, આક્ષેપ કરનાર યુવતી લીનુ સિંહ, પૂર્વ પત્નીના પરિવારજનો અને હાલમાં લિવ-ઈનમાં રહેતી યુવતી સહિતના લોકોના નિવેદનો નોંધ્યા હતા અને તેમાં દહિયા વિરુદ્ધ લીનુ સિંહે કરેલા આક્ષેપો પુરવાર થયા હતા. આ ઉપરાંત પોલીસે દહિયાને ચાર વખત હજાર રહેવા નોટિસ પાઠવી હોવા છતા તેઓ હાજર રહ્યા નહતા.
ગયા અઠવાડિયે સરકારે રચેલી તપાસ કમિટી સમક્ષ ગૌરવ દહિયા હાજર થયા હતા. જ્યાં દહિયાની છથી સાત કલાક સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જોકે તે બાદ દહિયા પોલીસ સમક્ષ હાજર થતા નથી. પોલીસે દિલ્હી જઈને મહિલાનું નિવેદન પણ લીધું હતું.
આ પણ વાંચો : હવે તબીબને 3 નહીં 1 વર્ષ સુધી ફરજિયાત ગામડામાં પ્રૅક્ટિસ કરવી પડશે
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ડૉ. દહિયાને ચોથી વખત નોટિસ અપાયા બાદ આ સમગ્ર ઘટનાક્રમ અંગે તેમના સંબંધિત વિભાગને સત્તાવાર જાણ કરવામાં આવશે. આમ છતાં દહિયા હાજર ન થાય તો પોલીસ તેમને વધુ એક તક આપશે અને નિયમ મુજબ પાંચમી વખત નોટિસ અપાશે.