05 February, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુંદર અને યુવાન દેખાવાની ઇચ્છા હંમેશાંથી રહી છે, પરંતુ એ માટેની પદ્ધતિઓ સતત બદલાતી રહે છે. અત્યાર સુધી કરચલીઓ દૂર કરવા અને ચહેરાને ટાઇટ રાખવા માટે લોકો બોટોક્સ અને ડર્મલ ફિલર્સ જેવાં કેમિકલયુક્ત ઇન્જેક્શન પર નિર્ભર હતા, પરંતુ હવે બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. લોકો હવે આર્ટિફિશ્યલ ટ્રીટમેન્ટને બદલે કુદરતી પદ્ધતિઓ તરફ વળી રહ્યા છે, જેમાં ફેશ્યલ ઍક્યુપંક્ચર સૌથી વધુ ચર્ચામાં છે.
આ એક ચીની ચિકિત્સા પદ્ધતિનું એક સ્વરૂપ છે.
આ પ્રક્રિયામાં ચહેરાના ચોક્કસ સ્નાયુઓ અને નર્વ પૉઇન્ટ્સ પર અત્યંત પાતળી અને વાળ જેવી સોય લગાવવામાં આવે છે. એનાથી ત્વચામાં બ્લડ-સર્ક્યુલેશન અને ઑક્સિજન સપ્લાય વધે છે, જેનાથી ત્વચા કુદરતી રીતે અંદરથી રિપેર થાય છે. બોટોક્સ સ્નાયુઓને લકવો આપીને કામ કરે છે, જ્યારે ફિલર્સ ચહેરા પર વૉલ્યુમ ઉમેરે છે. એનાથી વિપરીત ઍક્યુપંક્ચર સ્નાયુઓની કામગીરીને ફરીથી સક્રિય કરે છે. બોટોક્સમાં ચહેરો ઘણી વાર જડ થઈ જાય છે એટલે કે કુદરતી હાવભાવ ગાયબ થઈ જાય છે, જ્યારે ઍક્યુપંક્ચર પછી ચહેરો જીવંત અને અભિવ્યક્ત રહે છે. કોઈ કૃત્રિમ બદલાવ આવતો નથી.
ઍક્યુપંક્ચર કરચલીઓ ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ એ એક કુદરતી અને ક્રમિક પ્રક્રિયા છે. એમાં કોઈ અચાનક કે કૃત્રિમ બદલાવ જોવા મળતો નથી. ખરેખર એ જ એની સૌથી મોટી તાકાત છે. ફેશ્યલ ઍક્યુપંક્ચર ખાસ કરીને ઉંમર વધવાની શરૂઆતની નિશાનીઓ રોકવા માટે અત્યંત અસરકારક છે, કારણ કે એ ત્વચાની નૅચરલ રિપેર ઍન્ડ રિન્યુઅલની પ્રક્રિયાને સપોર્ટ કરે છે. બ્લડ-સર્ક્યુલેશન અને ઑક્સિજન સપ્લાય સુધારીને એ તંદુરસ્ત કોષોના પુનર્જીવનને પ્રોત્સાહન આપે છે, જેના પરિણામે સમય જતાં ત્વચા વધુ સૉફ્ટ થાય છે, ઇલૅસ્ટિસિટી વધે છે અને ટેક્સ્ચર પણ સુધરે છે.
જે લોકો કુદરતી રીતે ત્વચાને રિજુવિનેટ કરવા ઇચ્છે છે તેમના માટે ફેશ્યલ ઍક્યુપંક્ચર એક આદર્શ વિકલ્પ છે. ઉપરથી આ સારવારની આડઅસરો પણ નહીંવત છે. એ ખાસ કરીને એવા લોકો માટે વધુ ફાયદાકારક છે જેઓ ઝીણી કરચલીઓ, ચહેરા પરનો તનાવ અથવા હૉર્મોનલ અસંતુલન અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓથી પરેશાન હોય. બોટોક્સ અને ફિલર્સ કરતાં ફેશ્યલ ઍક્યુપંક્ચર ધીમું કામ કરે છે, પણ ઘણા દરદીઓ માટે તાત્કાલિક પરિણામો મેળવવા કરતાં ઊંડાણપૂર્વકની અસર વધુ મહત્ત્વ ધરાવે છે.