શું શરીરનાં પંચ મહાભૂતોને શ્વાસથી બૅલૅન્સ કરી શકાય?

05 January, 2022 02:03 PM IST  |  Mumbai | Ruchita Shah

આપણા પ્રાચીન ધર્મગ્રંથોથી માંડીને ઘણીબધી ઉપચાર પદ્ધતિઓ પણ માને છે કે પંચ મહાભૂતોથી બનેલા આપણા શરીરમાં રોગ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આ પાંચ તત્ત્વોમાં કોઈક પ્રકારનું અસંતુલન સરજાય. આ પાંચેય તત્ત્વો સંતુલિત થાય અને સંવાદિતા સધાય અેવા પ્રાણાયામના અભ્

શું શરીરનાં પંચ મહાભૂતોને શ્વાસથી બૅલૅન્સ કરી શકાય?

આપણા પ્રાચીન ધર્મગ્રંથોથી માંડીને ઘણીબધી ઉપચાર પદ્ધતિઓ પણ માને છે કે પંચ મહાભૂતોથી બનેલા આપણા શરીરમાં રોગ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આ પાંચ તત્ત્વોમાં કોઈક પ્રકારનું અસંતુલન સરજાય. આ પાંચેય તત્ત્વો સંતુલિત થાય અને સંવાદિતા સધાય એવા પ્રાણાયામના અભ્યાસો વિશે વાત કરીએ આજે

માત્ર આપણું શરીર જ નહીં પણ આખું બ્રહ્માંડ અને એમાં રહેલા તમામ જીવ તત્ત્વોનું સર્જન થયું છે પાંચ તત્ત્વોથી. પૃથ્વી, વાયુ, જલ, અગ્નિ અને આકાશ. આપણું શરીરનું બંધારણ અને એની અંદર થતી દરેક પ્રવૃત્તિમાં પણ આ પાંચ તત્ત્વોનો મહત્ત્વપૂર્ણ રોલ છે. એટલે તમારા હલનચલનથી લઈને પાચનમાં પણ પાંચ તત્ત્વો ભેગાં મળીને કામ કરતાં હોય છે. પંચ તત્ત્વોને મહર્ષિ ચરકે મહા ભૂતની ઉપમા આપી છે. મહા એટલે વિશેષ, મહત્ત્વપૂર્ણ તત્ત્વો. બ્રહ્માંડને સમજવું હોય, જાતને સમજવી હોય, કુદરતના સિદ્ધાંતોને સમજવા હોય કે પછી આપણા અને બ્રહ્માંડના કનેક્શનને સમજવું હોય તો આ પાંચ મહાભૂતોને સમજવાં જ પડે. મજાની વાત એ છે કે આ પાંચ મહાભૂતોને અનુભવવાં બહુ જ સરળ છે. આ પાંચ તત્ત્વોનું પ્રમાણ સતત પ્રભાવિત થયા કરે છે. આપણા વાણી, વર્તન,  આહાર, વિહાર, વિચાર એમ દરેકે દરેક સ્તર પર ક્યાંકને ક્યાંક આપણે આ પાંચ તત્ત્વના પ્રમાણને પ્રભાવિત કરીએ છીએ. એથી જ્યારે એમાં અસંતુલન ઊભું થાય ત્યારે વ્યક્તિમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક અસંતુલન નિર્માણ થતું હોય છે. 
પાંચ તત્ત્વોની વિશેષતા | પાંચેય તત્ત્વના અમુક ગુણધર્મ છે. જેમ કે પૃથ્વી તત્ત્વ એટલે માત્ર માટી જ નહીં પરંતુ દરેક ઘન પદાર્થ. અહીં યથા પિંડે તથા બ્રહ્માંડેનો સિદ્ધાંત તમારે યાદ રાખવાનો છે. જેનાથી તમારું શરીર નિર્મિત થયું છે એ જ બ્રહ્માંડમાં પણ છે. આપણા શરીરમાં પણ જે ઘન (સૉલિડ) પદાર્થ છે જેમ કે હાડકાં, સ્નાયુ, વાળ, દાંત, નખ વગેરે બધાંમાં જ પૃથ્વી તત્ત્વ છે. એ જ રીતે પ્રવાહી રૂપમાં આ ધરતી પર અને તમારા શરીરની અંદર છે એ જળ તત્ત્વ; જેમાં પાણી ઉપરાંત, લોહી, લાળ, પાચકરસો, પરસેવો, વીર્ય વગેરે પણ આવી ગયાં. વાયુ તત્ત્વ એટલે હવા અને વિવિધ જાતના ગૅસ. અગ્નિ તત્ત્વ આપણી અંદર પણ જઠરાગ્નિ સ્વરૂપે છે. ભૂખ, તરસ અને ઊંઘ માટે અગ્નિ તત્ત્વ મહત્ત્વપૂર્ણ છે. અગ્નિ તત્ત્વ આપણા શરીરમાં અને બ્રહ્માંડમાં ટ્રાન્સફૉર્મર તરીકે કામ કરે છે. એક તત્ત્વને બીજા તત્ત્વમાં કન્વર્ટ કરવાની શક્તિ છે એનામાં. આગમાં જો બરફ (પૃથ્વી તત્ત્વ) નાખો તો પાણી બને અને પાણી (જળ તત્ત્વ) નાખો તો વરાળ (વાયુ તત્ત્વ) બને. તમામ તત્ત્વોની માતા ગણાતું આકાશ તત્ત્વ વ્યાપક છે અને સર્વત્ર છે. શરીરમાં પણ આકાશ તત્ત્વને કારણે જ કોઈ પણ ક્રિયા સંભવ છે. માત્ર આપણી રક્તવાહિનીઓમાં જ નહીં પણ પ્રત્યેક કોષમાં આકાશ તત્ત્વ છે. કહેવાય છે કે જો આપણા શરીરમાંથી આકાશ તત્ત્વ નીકળી જાય તો એક નાનકડી બૉટલમાં સમાઈ જાય એટલું આપણુ અસ્તિત્વ બાકી રહે. 
તત્ત્વોનો એકબીજા સાથેનો રૅપો | દરેક તત્ત્વ પણ એકબીજા સાથે વિશેષ પ્રકારનો સંબંધ ધરાવે છે. જેમ કે અગ્નિ અને જળ તત્ત્વ વચ્ચે સમજો ૩૬ આંકડો છે. એટલે કે એકની હાજરીમાં બીજો ન ટકે. બેમાંથી જેની સ્ટ્રેંગ્થ વધારે હોય એ સામેવાળા પર હાવી થાય. અગ્નિ પ્રબળ હોય તો પાણી બળી જાય અને પાણી વધારે હોય તો આગ ઓલવાઈ જાય. જુદા હોય તો જ બન્નેનું અસ્તિત્વ અકબંધ રહી શકે. શરીરમાં પણ જો અગ્નિ તત્ત્વ વધી જાય તો એ ઍસિડિટી અને બળતરા લાવશે. પાણી વધી જાય તો સોજા ચડે, પાચન મંદ પડે. એ જ રીતે અમુક તત્ત્વો મેડ ફૉર ઇચ અધર જેવાં છે. એકબીજાને સપોર્ટ કરનારાં અને ક્ષમતા વધારનારાં હોય. જેમ કે જળ અને પૃથ્વી તત્ત્વ સાથે રહી શકે અને અગ્નિ અને હવા પણ પરસ્પરને વધુ પ્રબળ બનાવતાં હોય છે. અમુક તત્ત્વોનો સંબંધ નો નૉન્સેન્સ જેવો હોય છે. એટલે કે સાથે હોય તો પણ વાંધો ન હોય એમને અને તક મળે તો સહજતાથી જુદાં પણ પડી શકે. જેમ કે પાણી અને હવા અથવા અગ્નિ અને પૃથ્વી તત્ત્વ. 
પ્યૉરિફિકેશન પ્રાણાયામ | અગ્નિ, વાયુ અને પાણી આ ત્રણ તત્ત્વોનો શરીરના શુદ્ધીકરણ માટે અને અન્ય તત્ત્વોમાં સંતુલન લાવવા માટે માધ્યમ તરીકે સરળતા સાથે ઉપયોગ શક્ય છે જેમાં પ્રાણાયામ એટલે કે વાયુ તત્ત્વના સંયોગથી પ્રાણ ઊર્જાના નિયમનથી થતા અભ્યાસથી અદ્ભુત પરિણામ મળી શકે છે. શરદી, ખાંસી, માઇગ્રેન, અપચો, અનિદ્રા, ઍસિડિટી જેવી ઘણી સમસ્યાઓને માત્ર શ્વસન દ્વારા પંચ તત્ત્વોને બૅલૅન્સ કરીને દૂર કરવી શક્ય છે. આ દિશામાં ઘણાં હકારાત્મક પરિણામ મેળવનારા યોગ, પ્રાણઊર્જા અને મુદ્રા વિજ્ઞાનના નિષ્ણાત મિતેશ જોશી કહે છે, ‘ડેવિડ આર. હૉકિન્સ નામના અમેરિકન સ્કૉલર કહેતા કે આપણે ૯૯.૯૯૯ ટકા ઊર્જાથી બનેલા છીએ. ભારતીય શાસ્ત્રોમાં તો એના વિશે લગભગ દરેકેદરેક ગ્રંથમાં ઉલ્લેખ છે. ભાષા અને સમજાવવાની રીત જુદી છે પરંતુ આપણા વેદો-ઉપનિષદોથી લઈને ભગવદ્ગીતા અને રામાયણ જેવા અઢળક ગ્રંથોમાં પ્રાણ ઊર્જાનું બ્રહ્માંડ પર આધિપત્ય છે એ વાત કહેવાતી રહી છે. ડેવિડ આર. હૉકિન્સે પોતાના વિવિધ અભ્યાસોના અનુભવો પરથી કહ્યું છે કે આપણા વિચારોની, આપણા દૃષ્ટિકોણની પણ એક ઊર્જા છે જે સતત આપણી અંદર અને બહાર ટ્રાન્સમિટ થયા કરે છે. પંચ તત્ત્વના પ્રાણાયામમાં પણ પ્રાણ ઊર્જાના આ જ ગુણને મધ્યસ્થ રાખીને આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. પ્રાણાયામ તમને ઊર્જા પ્રત્યે સંવેદનશીલ બનાવીને શરીરમાં કયાં-કયાં તત્ત્વની ઊણપ છે કે કયું તત્ત્વ વધી પડ્યું છે એના પ્રત્યે સભાન પણ બનાવે છે. એ સભાનતા સાથે જ ઊર્જાનો પ્રવાહ જરૂરિયાતવાળા સ્થળે વધારીને તમે જે-તે તત્ત્વને સંતુલિત કરતા હો છો. જોકે આ બ્રીધિંગ ટેક્નિક ત્યારે જ પ્રભાવી સાબિત થાય જ્યારે તમારો વિઝ્યુઅલાઇઝેશન પાવર સ્ટ્રૉન્ગ હોય. તમે કલ્પના કરી શકતા હો અને 
તમને તમે જે કરી રહ્યા છો એમાં ભરોસો હોય. તમારા વિચારો સાથે ઊર્જાનો પ્રવાહ પણ આગળ વધતો હોય છે. તમે ધ્યાનને જે દિશામાં લઈ જાઓ અને જેટલું ઇફેક્ટિવલી વિઝ્યુઅલાઇઝેશન કરી શકો એટલું ઇફેક્ટિવ પરિણામ મળે.’

કરવાનું શું?

પ્રાણાયામની રીત વિશે માહિતી આપતાં મિતેશ જોશી કહે છે, ‘ધારો કે કોઈને ઍસિડિટી બહુ થતી હોય તો વરુણ પ્રાણાયામથી તાત્કાલિક લાભ થઈ શકે. તમે અનુકૂળ આસનમાં કરોડરજ્જુ સીધી રહે એ રીતે બેસી જાઓ અથવા શવાસનમાં આડા પડો. ચાર-પાંચ થોડા ધીમા શ્વાસ લઈને મનને શાંત કરી દો. હવે કલ્પના કરો કે તમે શ્વાસના માધ્યમે જળ તત્ત્વને શરીરમાં લઈને એને ઍસિડિટીનો અનુભવ થઈ રહ્યો છે એ હિસ્સામાં મોકલી રહ્યા છો. મનોમન તમે બ્લુ રંગને વિઝ્યુઅલાઇઝ કરીને શ્વસન નળીથી પેટના ભાગમાં પહોંચીને એ ભાગને ઠંડક આપી રહ્યા હોવાની કલ્પના સાથે શ્વસન ચાલુ રાખો. લગભગ પાંચેક મિનિટમાં જ મોટા ભાગે લોકોને અમુક અંશે પરિણામ દેખાવાનું શરૂ થઈ જતું હોય છે. ઘણા લોકો એને પ્લેસિબો ઇફેક્ટ કહીને ડિસ્કાર્ડ કરી નાખે છે. જોકે યોગિક વિજ્ઞાન અને એનર્જી સાયન્સના પ્રણેતાઓ આને પ્રાણ ઊર્જાનો પ્રભાવ અને આપણી ઇચ્છાશક્તિનો ચમત્કાર માને છે. આ જ રીતે તમે શરદી, ખાંસી હોય ત્યારે અગ્નિ તત્ત્વના માધ્યમે શરીરનો કફ ઓગાળીને બહાર ફેંકી રહ્યા હોવાનો અનુભવ કરતા-કરતા શ્વસન કરવાનું છે. થાક લાગ્યો હોય કે દુખાવો હોય ત્યારે જળ તત્ત્વ વધારતું બ્રીધિંગ કરો. તમે જ્યાં ધ્યાન લઈ જશો અને જે ઇન્ટેન્શન સાથે લઈ જશો એ જગ્યાએ રક્તપ્રવાહ અને પ્રાણ ઊર્જા વધશે જે હીલિંગનું કામ કરશે.’

columnists ruchita shah yoga health tips