17 July, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગઈ કાલે આચાર્ય સુશ્રુતનો જન્મદિવસ હતો. આચાર્ય સુશ્રુત અને આયુર્વેદના તમામ ગ્રંથોએ પાચન અને મળશુદ્ધિને ખૂબ મહત્ત્વ આપ્યું છે. ભોજન પચે અને ન પચેલું ભોજન પેટમાંથી બહાર નીકળે એ મહત્ત્વનું છે. જોકે અત્યારના સમયમાં લોકોની બદલાયેલી જીવનશૈલીએ તેમની બોવેલ મૂવમેન્ટને પણ અકલ્પનીય રીતે અસર પહોંચાડી છે. વ્યક્તિની હેલ્થ કેવી છે એ જાણવા માટે તેની બોવેલ મૂવમેન્ટ એટલે તેની હાજતનો સમય, હાજત જતી વખતે લગાવવું પડતું જોર, મળની કન્સિસ્ટન્સી, એનો રંગ, એ પાણીમાં તરે છે કે કેમ, એની થિકનેસ, મળની સાથે આવતું બ્લડ, મ્યુકસ અથવા જીવાત વગેરે બધા જ આસ્પેક્ટથી વ્યક્તિના રોગનું નિદાન કરી શકાય. અમે જ્યારે ભણતા ત્યારે કરાગ્રે વસતે લક્ષ્મી શ્ળોકમાં અમને અમારા શિક્ષકે સ્વસ્થ જીવન માટે કહ્યું હતું કે સ્વસ્થ વ્યક્તિનું લક્ષણ એ કે જે પ્રભાતે મળદર્શન કરે. પોતાને સુજ્ઞ ગણતા સમાજે આ બાબતને સૂગ સાથે જોડી દીધી છે. એની વાત કરતાં લોકોને સંકોચ થાય છે પરંતુ ખૂબ મોટી-મોટી બીમારીઓનું નિદાન તમારી હાજતની આદતોથી કરી શકાતું હોય છે.
આ આખી વાત તમને દાખલા સાથે સમજાવું. ધારો કે કોઈ વ્યક્તિને આદત હોય કે તેને સવારે ઊઠ્યા પછી બે વાર ટૉઇલેટ જવું પડતું હોય. વર્ષોથી રૂટીન હોય પણ પછી આ આદત ફેરવાય અને બેને બદલે ચાર વાર જવું પડતું હોય તો તેણે ચેતવું જોઈએ. કોઈને વધુ વાર મળવિસર્જન કરવું પડે તો પણ એ ચિંતાનો વિષય છે અને કોઈને અચાનક કબજિયાત થવી શરૂ થઈ હોય તો એ પણ ચિંતાનો વિષય છે. તમારી બદલાયેલી બોવેલ મૂવમેન્ટ કૅન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. મળ સાથે આવતા બ્લડના રંગ સાથે વ્યક્તિને કઈ બીમારી હોઈ શકે એનો અંદાજ લગાવી શકાય. ઘણી વાર દરદીને દેખાય નહીં એવું ઑકલ્ટ બ્લીડિંગ થતું હોય તો એ મોટા ભાગે કૅન્સરના દરદીઓમાં જોવા મળતું લક્ષણ છે. એટલે જ કહું છું કે જો તમારી વર્ષો જૂની પૅટર્નમાં બોવેલ મૂવમેન્ટની દૃષ્ટિએ બદલાવ આવે તો સ્ટૂલ રૂટીન ટેસ્ટ કરાવવી જોઈએ. તમારા શરીરના ઘણા રોગોનું નિદાન એના થકી થઈ શકે. અલ્સરેટિવ કોલાઇટિસ, ક્રોન્સ ડિસીઝ, ફિટ્સુલા, ફિશર જેવી બીમારીઓ પકડાઈ શકે છે. જેમના પરિવારમાં કૅન્સરની હિસ્ટરી હોય, ચાલીસ પ્લસની ઉંમર હોય તેમણે તો ખાસ સ્ટૂલ રૂટીન ટેસ્ટ કરાવી લેવી જોઈએ.
-ડૉ. નીલેશ દોશી