પગને હાઇડ્રેટેડ રાખવા માટે રાતે સિલિકૉનનાં આ મોજાં પહેરી લો

23 December, 2024 09:47 AM IST  |  Mumbai | Kajal Rampariya

એવું સોશ્યલ મીડિયાનો ટ્રેન્ડ કહે છે.

પ્રતીકાત્મક તસવીર

હા, પગમાં ડ્રાય સ્કિનની તકલીફ રહેતી હોય તો વિન્ટર-કૅરમાં સિલિકૉનનાં મોજાંની અંદર સિરમ લગાવીને પહેરી રાખવાથી થોડો ફરક ચોક્કસ પડે, પણ જો વાપરવામાં ગરબડ કરી તો એના જેટલા ફાયદા છે એટલું જ નુકસાન પણ થાય છે એ યાદ રાખવું.

શિયાળામાં પગની ત્વચા ડ્રાય થવી અને એડી ફાટવાની સમસ્યા કૉમન છે. ઠંડા વાતાવરણમાં ખાસ કરીને પગની ત્વચામાં મૉઇશ્ચર ન રહેવાને કારણે એ ડ્રાય થઈ જાય છે અને ફાટી જાય છે. ત્યારે મૉઇશ્ચરાઇઝર, ક્રીમ અને ઘરગથ્થુ નુસખા લોકો અપનાવતા હોય છે ત્યારે માર્કેટમાં સિલિકૉનનાં મોજાંનું ચલણ વધ્યું છે. સિલિકૉનનાં આ મોજાં પગની ત્વચા માટે સારાં માનવામાં આવે છે. એ પગના મૉઇશ્ચરને જાળવી રાખે છે, પગને ગરમી આપે છે, પહેરવામાં પણ આરામદાયક અને મુલાયમ હોય છે અને ક્રૅક હીલ્સને ઠીક કરવામાં પણ મદદરૂપ છે એવા દાવાઓ થઈ રહ્યા છે. આ ઉપરાંત એના નિયમિત ઉપયોગથી પગની ત્વચા વધુ મુલાયમ અને સૉફ્ટ બને છે. જો મૉઇશ્ચરાઇઝર કે એસેન્શિયલ ઑઇલ લગાવીને સિલિકૉનનાં મોજાં પહેરવામાં આવે તો વધુ ફાયદો આપે છે એવું પણ કહેવાઈ રહ્યું છે, પણ શું ખરેખર સિલિકૉનનાં મોજાં પહેરવાથી આટલા ફાયદાઓ થાય છે એ વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ.

શું કહે છે એક્સપર્ટ?

જોકે સિલિકૉન મોજાંને સોશ્યલ મીડિયા પર જેટલાં ઇફેક્ટિવ બતાવવામાં આવી રહ્યાં છે એટલાં એ હકીકતમાં નથી એવો દાવો મુલુંડનાં અનુભવી કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. મમતા છેડાએ કર્યો છે. આ વિશે પોતાનો મત વ્યક્ત કરતાં ડૉ. મમતા જણાવે છે, ‘સોશ્યલ મીડિયા પર છાશવારે અવનવી પ્રોડક્ટ્સ આવતી હોય છે, પણ એને ખરીદતાં પહેલાં એ કેટલું સારું રિઝલ્ટ આપે છે એની ચકાસણી કરવી જરૂરી છે. સિલિકૉનનાં મોજાં પહેરવાથી પગમાં મૉઇશ્ચર જળવાઈ રહે છે એવું કહેવાય છે, પણ પ્રૅક્ટિકલી સિલિકૉનનાં મોજાં લાંબા સમય સુધી પહેરી રાખવાથી પરસેવાની સમસ્યા થાય છે, પછી પસીનાને કારણે બૅક્ટેરિયા જમા થાય છે અને ક્રૅક હીલ્સ હોય તો સમસ્યા વકરી શકે છે. જે લોકોની સેન્સિટિવ સ્કિન હોય તેમને સ્કિન-ઇન્ફેક્શન અને ઍલર્જી થઈ શકે છે. ખંજવાળ અને બળતરાની ફરિયાદ થઈ શકે છે. એવા પણ દાવાઓ થઈ રહ્યા છે કે ફાટેલી એડી માટે સિલિકૉનનાં મોજાં બેસ્ટ સોલ્યુશન છે પણ હકીકતમાં કંઈ નથી. ક્ર?ક હીલ્સ માટે આપણી ટ્રેડિશનલ પદ્ધતિ એટલે કે ઘી લગાવવું, મૉઇશ્ચરાઇઝર કે ક્રીમ લગાવવી જ બેસ્ટ સોલ્યુશન છે; સિલિકૉનનાં મોજાં નહીં. જેમને ડ્રાય સ્કિનની સમસ્યા હોય તેઓ રાત્રે આ મોજાં પહેરીને સૂઈ શકે છે પણ હું આ પ્રોડક્ટને યુઝ કરવાની સલાહ નહીં આપું. માર્કેટમાં ઝેરીના નામની ક્રીમ મળે છે એ પગની એડીમાં લગાવીને નૉર્મલ ફૅબ્રિકનાં મોજાં પહેરીને રાખવાથી ક્રૅક હીલ્સ હોય તેમને રાહત મળશે. સિલિકૉનનાં મોજાંથી ત્વચાને હવા નથી મ‍ળતી, પરિણામે બીજી સમસ્યાઓ થઈ શકે છે.’

skin care fashion fashion news life and style columnists