રણજીત વાંકઃવ્યવસાયે ડૉક્ટર, કર્મે લોકસાહિત્યકાર છે આ કાઠિયાવાડી કલાકાર

16 April, 2019 09:32 AM IST  |  | ભાવિન રાવલ

રણજીત વાંકઃવ્યવસાયે ડૉક્ટર, કર્મે લોકસાહિત્યકાર છે આ કાઠિયાવાડી કલાકાર

ડૉ. રણજીત વાંક (Image Courtesy: Facebook)

નામ છે એમનું ડૉક્ટર રણજીત વાંક. યુટ્યુબ પર સર્ચ કરશો તો હજારોની સંખ્યામાં તેમના વીડિયો મળશે. ડાયરાઓથી લઈ કથાઓમાં તેઓ પ્રોગ્રામ કરે છે. આમ તો રણજીતભાઈ આયુર્વેદિક ડોકટર છે. પણ છેલ્લા 10થી વધુ વર્ષથી ડોક્ટરની પ્રેક્ટિસ છોડીને તેઓ લોકસાહિત્યને ખૂણે ખૂણે સુધી પહોંચાડી રહ્યા છે. લોકસાહિત્ય પ્રત્યેની લગન કહો તો લગન અને પ્રોફેશન ગણો તો પ્રોફેશન પરંતુ ડોક્ટરની પ્રેક્ટિસ છોડી કલાકાર બનવાનો નિર્ણય આજે તેમને પ્રતિષ્ઠા જરૂર અપાવી રહ્યો છે.

બાળપણથી હતો વાંચનનો શોખ

રણજીત વાંકનું વતન એટલે ગરવા ગિરનારની ગોદમાં વસેલું જૂનાગઢ. મૂળ કાઠિયાવાડી અને એમાંય ગિરનારની ગોદમાં વસેલા ગામના એટલે લોકસાહિત્ય, સંતોની કથાઓ તો તેમને લોહીમાં જ મળી છે. એમાંય પિતા શાળામાં આચાર્ય, એટલે વાંચનની આદત પણ બાળપણથી પડી. અને આદત પાછળથી શોખમાં બદલાઈ. આજે લોકસાહિત્યકાર તરીકેની સફળતામાં રણજીત વાંક પોતાના આ વાંચનનો ફાળો સૌથી વધુ ગણાવે છે.

 રણજીતભાઈ પોતાની આ સફરને યાદ કરીને કહે છે વાંચનનો શોખ બાળપણથી હતો. હું મારા પપ્પાની શાળામાં જ ભણતો. હું 12.20એ છૂટું અને પપ્પા 1.30 વાગે છૂટે. ઘરે સાથે જ જવાનું હોય એટલે આ એક કલાક હું લાયબ્રેરીમાં કાઢું. આ રીતે વાંચનયાત્રા શરૂ થઈ. સેકન્ડરી એજ્યુકેશન સુધી તો હું અનેક કવિતાઓ, દોલત ભટ્ટનું સાહિત્ય વાંચી ચૂક્યો હતો. પણ ભણવામાં તે સમયે વધુ ધ્યાન હતું. એટલે આયુર્વેદનો અભ્યાસ કર્યો પણ વાંચન સતત ચાલુ હતું. જો કે આ સમયે લોકસાહિત્યના કાર્યક્રમ કરવાનો કે એવો કોઈ ઈરાદો નહોતો, શોખથી હું બધુ વાંચતો હતો.

કરતા હતા ડૉક્ટરની પ્રેક્ટિસ

આયુર્વેદનો અભ્યાસ કર્યા બાદ રણજીતભાઈએ અમદાવાદમાં પોતાનું ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધેલી. તો પછી આ કાર્યક્રમો કેવી રીતે શરૂ થયા એના જવાબમાં મલકાતા મલકાતા રણજીતભાઈનું કહેવું છે કે મિત્રો સાથે બેસીએ, ચર્ચા થાય ત્યારે ઈતિહાસની વાતો આવે તો હું સૌથી વધુ બોલું. એટલે મિત્રો કહે કે આવું તો લોકસાહિત્યકારોને પણ નથી ખબર. એટલે મિત્રોએ પ્રોત્સાહન આપ્યું. મિત્રોના જ કાર્યક્રમમાં બોલવાની શરૂઆત કરી. દાદ મળતી ગઈ અને આત્મવિશ્વાસ કેળવાતો ગયો.

પત્ની હેતલ વાંક સાતે ડૉક્ટર રણજીત વાંક

રણજીત વાંકે પહેલો કાર્યક્રમ 2004માં અમદાવાદમાં આપ્યો હતો. અને બસ તેમની સફર ત્યારની ચાલુ જ છે. જો કે 2004થી 2008 સુધી તેઓ ડોક્ટરની પ્રેક્ટિસ અને કાર્યક્રમો સાથે સાથે કરતા હતા. સવારે પ્રેક્ટિસ કરે અને રાતે કાર્યક્રમ આપે. ઘણીવાર એવું બને કે વહેલી પરોઢ સુધી કાર્યક્રમ ચાલ્યો હોય અને સવારે ક્લિનિક ખોલવાની હોય. જો કે 2008 બાદ તેમણે પ્રેક્ટિસ છોડી દીધી. હવે તેમની ક્લિનિક તેમના પત્ની હેતલ વાંક સંભાળે છે. હેતલ બેન પણ વ્યવસાયે હોમિયોપેથ છે. અને પતિને તેમણે સંપૂર્ણ પણે લોકસાહિત્યકાર બનાવી દીધા છે. રણજીતભાઈએ કાર્યક્રમની શરૂઆત જાણીતા ભજનિક હેમંત ચૌહાણ સાથે કરી હતી. પછી ઓસમાણ મીર સાથે, કિર્તીદાન ગઢવી સાથે અને ફાલ્ગુની પાઠક સાથે ભજનસંધ્યામાં કામ કર્યું.

અંબાણી પરિવારના ઘરે કરી ચૂક્યા છે કાર્યક્રમ

ધીમે ધીમે કાર્યક્રમો મળતા ગયા, પછી રણજીભાઈએ આકાશવાણીમાં લોકવાર્તા માટેની સ્વર પરીક્ષા પાસ કરી, પહેલા બી ગ્રેડ પછી બી હાઈગ્રેડની પરીક્ષા પાસ કરી અને ત્યાં પણ કાર્યક્રમો શરૂ થયા. બસ પછી તો એવી લોકપ્રિયતા મળી કે હવે તેઓ અમેરિકા, કેનેડા, દુબઈ, મસ્કત, આફ્રિકા, લંડન એમ સાત સમુંદર પાર પણ પ્રોગ્રામો કરે છે. મોરારિ બાપુની કથાથી લઈ રણજીત ભાઈ અંબાણી પરિવારના ઘરે પણ કાર્યક્રમ આપી ચૂક્યા છે. અંબાણી પરિવારના ઘરે શ્રીનાથજી બાવાના 16મા પાટોત્સવમાં રણજીત વાંક પ્રોગ્રામ કરી ચૂક્યા છે. હવે રણજીત ભાઈ વર્ષના 170થી વધુ પ્રોગ્રામો કરે છે.

લોકસાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ રણજીતભાઈને સોની સબ તરફતી ગુજરાતના નોંધપાત્ર કલાકારનુ સન્માન અને ડોક્ટર્સ એસોસિયેશન તરફથી ડોક્ટર હોવાની સાથે અન્ય ક્ષેત્રમા સિદ્ધિ મેળવવા બદલ સન્માન મળી ચૂક્યુ છે.

જાતમહેનત કરીને મેળવ્યું જ્ઞાન

રણજીતભાઈની સફળતાની ખાસ વાત એ છે કે આ કામ તેમણે શોખથી અપનાવ્યું છે. શરૂઆતમાં પુરસ્કાર ઓછા મળતા એટલે થોડી ઘણી આર્થિક તકલીફ પડતી. પણ રણજીત ભાઈ કહે છે કે શરૂઆતમાં તો આવું જ હોય. એટલે તેમણે કામ ચાલુ રાખ્યું. અને હવે તો તેઓ ગુજરાતીઓમાં વર્લ્ડ ફેમસ થઈ ચૂક્યા છે. રણજીત ભાઈ ચારણી સાહિત્યના અઘરા ગણાતા ગ્રંથો અવતાર ચરિત્ર, પાંડવ યશેન્દુ ચંદ્રિકા, પ્રવીણસાગર, રામરસામૃત સહિત ચારણી સાહિત્યના ગીત કવિત કંઠસ્થ કરી ચૂક્યા છે. કેવી રીતેના જવાબમાં તેમનું કહેવું છે કે ખૂબ મહેનત લાગી છે. મારે જે કવિત કંઠસ્થ કરવું હોય એ કાગળમાં લખી લઉ અને વાંચ્યા કરું, પછી વાંચ્યા વગર બોલું, ભૂલ પડે ત્યાં જોઉં. આમ સતત મહેનત કરીને આ કવિત કંઠસ્થ કર્યા છે.

આ પણ વાંચોઃ ગીતાબેન રબારીઃ5મા ધોરણથી ગાય છે કચ્છની કોયલ, જાણો અજાણી વાતો

રણજીતભાઈ કહે છે કે આજે તો લોકસાહિત્ય ભણાવતી કોઈ શાળા નથી. આઝાદી આસપાસના સમયમાં કચ્છ-ભૂજમાં આવી શાળા હતી. એટલે મારે જાતે જ બધું શીખવું પડ્યું. રણજીતભાઈ લોકસાહિત્ય કહેવા માટે જાતે જ દુહાના બંધારણોનો અભ્યાસ કરી ચૂક્યા છે. છંદનો અભ્યાસ કરી ચૂક્યા છે. દેશભરના પુસ્તકો ઘરમાં ભેગા કરીને તેઓ છંદ-દુહાની માત્રાઓ શીખ્યા છે. રણજીતભાઈ કહે છે કે અમારા ક્ષેત્રમાં શિક્ષિત કલાકરાો ઓછા છે. મોટા ભાગના કલાકરો દિક્ષીત છે, એટલે જો લોકસાહિત્યની સ્કૂલ હોય તો વધુ સારા કલાકારો તૈયાર થઈ શકે.

આ પણ વાંચોઃ માયાભાઈ આહીરઃવાંચો ડ્રાઈવરથી ડાયરાના 'સુપરસ્ટાર' સુધી કેવી રહી છે સફર

શોર્ય રસમાં છે માસ્ટરી

રણજીભાઈના કાર્યક્રમમાં આજે સૌથી વધુ માગ થતી હોય તો તેમના જ્ઞાતિના નામ બોલવાની સ્ટાઈલની. રણજીત વાંક એક જ શ્વાસે એક સાથે 142 જ્ઞાતિના નામ બોલી જાણે છે. તો શૌર્ય રસના તેઓ માસ્ટર છે અને મહાભારતનો કર્ણ તેમનું ગમતું પાત્ર છે. લોકસાહિત્ય પ્રત્યે યુવાનો નિરસ વલણ અંગે તેમનું કહેવું છે કે થોડા સમય પહેલા એવું હતું કે યુવાનોને રસ ઓછો પડતો પરંતુ હવે સોશિયલ મીડિયા, યુટ્યુબ અને ચેનલો પર કાર્યક્રમને કારણે પણ અમુક પ્રકારની વાતો યુવાનોને ગમે છે. છતાંય હજી વધુ યુવાનોએ આમાં રસ લેવો જોઈએ. તો જ આપણો વારસો, સંસ્કૃતિ સચવાશે. ઈતિહાસની વાતો નહીં વાગોળીએ તો ખતમ થઈ જતા વાર નહીં લાગે. એટલે જ રણજીતભાઈ કહે છે કે હું પોતે લોકવાર્તા કરું છું અને કોઈને શીખવામાં રસ હોય તો મને શીખવવામાં આનંદ થશે.

gujarat news