અનિલ કપૂરની કુકિંગ સ્કિલ પર શંકા હતી ફારાહ ખાનને

14 September, 2021 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફારાહ ખાન કુંદરને એ વાતની શંકા હતી કે અનિલ કપૂરને રસોઈ આવડશે કે નહીં. અનિલ કપૂર ‘સ્ટાર વર્સસ ફૂડ સીઝન 2’માં જોવા મળવાનો છે.

અનિલ કપૂર - ફરાહ ખાન - તસવીર - યોગેન શાહ

ફારાહ ખાન કુંદરને એ વાતની શંકા હતી કે અનિલ કપૂરને રસોઈ આવડશે કે નહીં. અનિલ કપૂર ‘સ્ટાર વર્સસ ફૂડ સીઝન 2’માં જોવા મળવાનો છે. ફારાહને તેની પાસેથી જરા પણ અપેક્ષા નહોતી. આ શોમાં સ્ટારનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સને પણ આમંત્રિત કરવામાં આવે છે. આ શોમાં ફારાહની સાથે સંજય કપૂરની વાઇફ મહીપ કપૂર અને અરબાઝ ખાનને બોલાવવામાં આવ્યાં હતાં. એ દરમ્યાન અનિલ કપૂરે ‘સ્લો રોસ્ટ લૅમ્બ સ્લાઇડર’ અને ‘નોચી પાસ્તા’ શેફ ગણેશના માર્ગદર્શનમાં બનાવ્યા હતા. એ વિશે ફારાહે કહ્યું હતું કે ‘તેની પાસે તો મને કોઈ અપેક્ષા નહોતી, કારણ કે હું તેને ૩૦ વર્ષોથી ઓળખું છું અને તેને કદી પણ રસોઈ કરતા નથી જોયો. જોકે આ સારી વાત કહેવાય કેમ કે મેં પણ શૂન્યથી શરૂઆત કરી હતી. એથી જો એ વધુ ભુંજાઈ ગયેલું અથવા તો ખાઈ ન શકીએ એવું હોય તો અપેક્ષા કરતાં એ વધુ સારું રહેશે. મને પાસ્તા નથી પસંદ, પરંતુ આ ‘નોચી પાસ્તા’ ખૂબ ટેસ્ટી હતા.’

તો બીજી તરફ મહીપે કહ્યું હતું કે ‘મારાં લગ્નને ૨૧ વર્ષ થયાં છે. એ અગાઉ સંજય સાથે ૫ વર્ષ રિલેશન હતું. એથી કુલ મળીને આ ફૅમિલીમાં મને ૨૬ વર્ષ પસાર થયાં છે. અનિલ કદી પણ કિચનમાં નથી ગયા. એથી એમ કહી શકાય કે ૨૬ વર્ષ બાદ હું અનિલ કપૂરના હાથે બનાવેલું ફૂડ ખાઈ રહી છું.’

આ શો ૧૫ સપ્ટેમ્બરથી ડિસ્કવરી+ પર શરૂ થવાનો છે. આ શોનું શૂટિંગ પૂરું કર્યા બાદ અનિલ કપૂરે કહ્યું હતું કે ‘આ શોનો અંત ખૂબ ઇમોશનલી થયો, કારણ કે શો દરમ્યાન મને મારી મમ્મીની ખૂબ યાદ આવી હતી. તે જે રીતે તેના બનાવેલા ભોજનની પ્રશંસાના બે શબ્દો માટે રાહ જોતી હતી એ નાની બાબત પણ તેને ખૂબ ખુશ કરી દેતી હતી. એ જ ફીલિંગ મને મળી જ્યારે ફારાહ, અરબાઝ અને મહીપે કહ્યું કે ફૂડ ટેસ્ટી હતું. અંદરથી તમને ખુશી મળે છે કે તમે સારું ફૂડ પીરસીને લોકોને ખુશ કર્યા છે.’

anil kapoor farah khan bollywood news entertainment news