12 May, 2021 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘનશ્યામ નાયક
સબ ટીવીના સુપરહિટ શો ‘તારક તા મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક આજે પંચોતેર વર્ષના થશે. હા, ઘનશ્યામભાઈનો આજે બર્થ-ડે છે. ઘનશ્યામભાઈની અત્યારે કૅન્સર માટેની સારવાર ચાલે છે.
બર્થ-ડેની પૂર્વસંધ્યાએ નટુકાકાએ કહ્યું કે આ ‘અત્યારના સમયે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નો સેટ બહુ યાદ આવે છે. જ્યારથી સિરિયલ ચાલુ થઈ ત્યારથી દર વર્ષે બર્થ-ડેના દિવસે સેટ પર બધા કલાકારોની હાજરીમાં કેક કપાય, પણ કોરોનાકાળમાં એ મીઠી યાદો હવે સ્મરણ બની ગઈ છે. હવે તો બસ, ઘરમાં બેસીને પ્રભુનું નામ લેવાનું અને કોરોનામાંથી જલદી મુક્તિ મળે એ માટેની પ્રાર્થના કરવાની.’
ઘનશ્યામ નાયક અને સિરિયલના પ્રોડ્યુસર આસિત મોદી બન્નેને લાંબા સમયથી સંબંધો છે. આસિત મોદીની સિરિયલ ‘સારથિ’માં પણ ઘનશ્યામ નાયક હતા, એ સમયે ‘સારથિ’ના સેટ પર તેમના સાઠમા જન્મદિવસની કેક કાપવામાં આવી હતી, જે ગયા વર્ષ સુધી અવિરત ચાલુ રહી હતી, પણ કોરોનાએ આ સુખદ રૂટીન તોડ્યું. નટુકાકા કહે છે, ‘આશા રાખીએ આવતા વર્ષે આપણે હતા એમ જ બધા સાથે મળીને આનંદ લેતા થઈ જઈએ.’